રત્નાગિરીના દરિયામાં ડૂબી જવાથી મુંબઈના પાંચ પર્યટકોનાં મરણ

મુંબઈ – રત્નાગિરીના આરેવારે સમુદ્રમાં નાહવા પડેલા પાંચ પર્યટકોનું સમુદ્રમાં ડૂબી જવાને કારણે મૃત્યુ થયાની હૃદયદ્રાવક ઘટના બની છે. મૃતકોમાં બે પુરુષ અને ત્રણ મહિલાનો સમાવેશ થાય છે.

આ તમામ પર્યટકો મુંબઈના બોરીવલીના રહેવાસીઓ હતા અને ખ્રિસ્તી પરિવારના સભ્યો હતાં. તેઓ સૌ ગણપતિ પુળે પર્યટન સ્થળે ફરવા ગયા હતા. આરેવારે સમુદ્ર જોવા ગયા બાદ પર્યટકોને એમાં નાહવાનું મન થયું હતું અને સૌ એમાં નાહવા પડ્યા હતા.

તમામ મૃતકોનાં મૃતદેહ મળી આવ્યા છે.

તમામ મૃતકો બોરીવલીના ડિસોઝા પરિવારનાં સભ્યો છે.

સ્થાનિક લોકોની સલાહની અવગણના કરીને પર્યટકો સમુદ્રમાં નાહવા પડ્યા હતા.

મરણ પામેલાઓનાં નામ છેઃ કેનેથ ટિમોથી માસ્ટર્સ (56), મોનિકા બેન્ટો ડિસોઝા (44), સનોમી બેન્ટો ડિસોઝા (22), રેન્ચર બેન્ટો ડિસોઝા (19), મેથ્યૂ બેન્ટો ડિસોઝા (18). જ્યારે રિટા ડિસોઝા (70) અને લિના કેનેથ માસ્ટર્સ (52)ને બચાવી લેવામાં આવી છે.