મુંબઈ હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિઃ અજીત પવારની ગેરહાજરી ઘણું કહેતી હતી

મુંબઈ: મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય નાટક વચ્ચે સૌ કોઈની નજર 26/11ના આતંકી હુમલામાં શહીદોને શ્રદ્ધાંજલિ આપી રહેલી હસ્તિઓ પર છે. મરીન ડ્રાઈવ પર આયોજીત પોલીસ મેમોરિયલ પર રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી હુમલામાં માર્યા ગયેલા શહીદોને યાદ કરવા પહોંચ્યા. જોકે, આ સમયે નાયબમુખ્યમંત્રી અજીત પવાર નજર નહીં આવતા ખુણે ખાચકે કેટલાક સવાલો ઉભા થઈ રહ્યા છે. સવાલો એવા પણ ઉભા થઈ રહ્યા છે કે, અંતે અજીત પવારના મનમાં શું ચાલી રહ્યુ છે?

આ પહેલા અજીત પવાર સોમવારે દેવેન્દ્ર ફડણવીસની એક મહત્વની બેઠકમાં પણ ગેરહાજર રહ્યા હતા. રાજ્યમાં દુષ્કાળ, પૂર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંગે વિશ્વ બેંકના પ્રતિનિધિઓ સાથે મહત્વની બેઠક હતી જેમાં નાયબમુખ્યમંત્રીની ખુરશી ખાલી જોવા મળી હતી. ત્યારબાદથી અટકળોનો દોર શરુ થયો છે કે, શું અજીત પવાર ફરી એક વખત તેમનુ વલણ બદલી શકે છે?

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ શહીદોને યાદ કર્યો

મુંબઈ હુમાલામાં માર્યા ગયેલા લોકોની યાદમાં બનેલા સ્મૃતિ સ્થળ પર આજે લોકોનો જમાવડો લાગ્યો છે. આજથી 11 વર્ષ પહેલા દેશની આર્થિક રાજધાની મુંબઈમાં થયેલા આતંકી હુમલાથી માત્ર દેશ જ નહીં પણ સમગ્ર વિશ્વ હચમચી ગયુ હતુ. 26 નેવમ્બર,2008ના દિવસે થયેલા હુમલો ચાર દિવસ સુધી ચાલ્યો અને જેમાં 166 લોકોના મોત થયા હતા અને 300થી વધુ લોકો ઘાયલ થયા હતા.

રામનાથ કોવિંદએ પણ ટ્વીટ કરીને હુમલાની 11મી વર્ષગાંઠે શહીદોના પરિવારજનોનને યાદ કર્યા. તેમણે ટ્વીટ કર્યું કે, મુંબઈ આતંકી હુમલાની 11મી વર્ષગાંઠ પર તમામ શહીદો અને તેમના પરિવારજનોને યાદ કરીએ છીએ. એક કૃતજ્ઞ રાષ્ટ્ર એ સુરક્ષાકર્મીઓને સલામ કરે છે જેમણે સર્વોચ્ચ બલિદાન આપ્યું. આપણો દ્રઢ સંકલ્પ છે આપણે દરેક પ્રકારના આતંકવાદને પરાસ્ત કરીશું. આ અગાઉ ઉપરાષ્ટ્રપતિએ વૈકેંયા નાયડૂએ પણ સહીદોને નમન કરીને તેમની બહાદુરી અને સમર્પણ માટે સલામ કર્યું હતુ.