દિવાળી તહેવાર ટાણે જ મહારાષ્ટ્રમાં એસ.ટી. કર્મચારીઓ હડતાળ પર જાય એવી શક્યતા

મુંબઈ – મહારાષ્ટ્રના લોકો માટે દિવાળી પૂર્વે જ નિરાશાજનક સમાચાર છે. રાજ્યના સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના બસ, કંડક્ટરો સહિતના કર્મચારીઓ તહેવાર પૂર્વે હડતાળ પર જવાના હોવાના અહેવાલ છે.

મહારાષ્ટ્ર સરકાર દ્વારા માન્યતાપ્રાપ્ત છ કર્મચારી સંગઠનો આ હડતાળમાં જોડાવાના છે. તેઓ 16 ઓક્ટોબરની મધરાતથી હડતાળ પર જશે.

કર્મચારીઓની ત્રણ મુખ્ય માગણી આ છે: સાતમા વેતન પંચની ભલામણોનો અમલ કરવો જોઈએ, પદ-આધારિત વેતન શ્રેણી આપવી જોઈએ, કર્મચારીઓના વેતન અંગે સુધારિત કરાર અમલમાં ન મૂકાય ત્યાં સુધી કર્મચારીઓને 25 ટકા હંગામી વેતન વધારો આપવો જોઈએ.

હડતાળ પર જવું કે નહીં? તે વિશે નિર્ણય લેવા માટે કર્મચારીઓના પ્રતિનિધિઓની બોલાવવામાં આવેલી બેઠકમાં 90 ટકા જણે હા પાડી હતી.

ભૂતકાળમાં 1972, 1996 અને 2007માં એસ.ટી. કર્મચારીઓએ હડતાળ પાડી હતી.

મહારાષ્ટ્રમાં એસ.ટી. કર્મચારીઓની સંખ્યા આશરે એક લાખ, 7 હજાર જેટલી છે. રાજ્યમાં 17 હજાર એસ.ટી. બસો ફરે છે. રાજ્યમાં 258 એસ.ટી. ડેપો અને વિભાગીય કાર્યાલયો છે.