2019ની લોકસભા ચૂંટણીમાં માધુરી, સેહવાગ ભાજપનાં ઉમેદવાર બનશે?

મુંબઈ – એક અહેવાલ મુજબ, ભારતીય જનતા પાર્ટીએ આવતા વર્ષે નિર્ધારિત લોકસભાની ચૂંટણી જીતવા માટે જોરદાર રીતે કમર કસી છે. આ વખતની ચૂંટણીમાં એ અમુક અગ્રગણ્ય બોલીવૂડ સિતારાઓ અને જાણીતી હસ્તીઓને ટિકિટ આપનાર છે.

આમાં માધુરી દીક્ષિત-નેને અને અક્ષય કુમારનો સમાવેશ થાય છે. બંનેને કદાચ ભાજપ મુંબઈમાંથી ચૂંટણીના મેદાનમાં ઉતારે એવી ધારણા છે.

આ ઉપરાંત ભૂતપૂર્વ આક્રમક બેટ્સમેન વિરેન્દર સેહવાગ અને ભૂતપૂર્વ કેપ્ટન કપિલ દેવનો પણ સમાવેશ થાય છે.
ભાજપની રાષ્ટ્રીય નેતાગીરી આ સ્ટાર પ્રચારકોની મદદથી શહેરી મતવિસ્તારોમાં પક્ષતરફી વાતાવરણ નિર્માણ કરાવીને જીત નિશ્ચિત કરાવવા માગે છે.

રાજકારણથી બહારના ક્ષેત્રોના, પણ જનતામાં ખાસ્સી એવી લોકપ્રિયતા હાંસલ કરનાર અમુક હસ્તીઓને 2019ની ચૂંટણીમાં ટિકિટ આપવા ભાજપ ગંભીરતાપૂર્વક વિચારે છે. આવા અન્ય નામો છેઃ રવીના ટંડન, અનુપમ ખેર, બપ્પી લાહિરી, ગૌતમ ગંભીર, ભૂતપૂર્વ લશ્કરી પ્રમુખ દલબીર સિંહ સુહાગ.