મુંબઈની ખાનગી શાળામાં ભોજન બાદ 16 બાળકોને ખોરાકી ઝેર ચડ્યું

મુંબઈ – અહીંના ભાંડુપ ઉપનગરમાં આવેલી સહ્યાદ્રી વિદ્યામંદિર નામની એક ખાનગી શાળામાં આજે ભોજન (દાલ-ખિચડી) ખાધા બાદ 16 વિદ્યાર્થીઓને ખોરાકી ઝેર ચડ્યું હતું. એમને મુલુંડની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

દાલ-ખિચડી ખાધા બાદ સાતમા ધોરણના વિદ્યાર્થીઓ તથા સ્ટાફના એક સભ્યએ એમને પેટમાં દુખાવો થતો હોવાની ફરિયાદ કરી હતી.

એમને તરત જ મુલુંડની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

મુંબઈ મહાનગરપાલિકાના એક અધિકારીના જણાવ્યા મુજબ, 12 છોકરી અને ચાર છોકરાને ખોરાકી ઝેર ચડ્યું છે. એમને 24 કલાક સુધી તબીબી નિરીક્ષણમાં રાખવામાં આવશે, એમ બાળકોની સારવાર કરી રહેલા ડોક્ટરનું કહેવું છે.

આ ઘટના વિશે તપાસ યોજવામાં આવશે.

ગઈ 10 ઓગસ્ટે, ઈશાન મુંબઈના જ ગોવંડી ઉપનગરની એક મ્યુનિસિપલ શાળામાં બાળકોને શરીરમાં લોહતત્ત્વ વધે એ માટેની દવા અપાયા બાદ કથિતપણે ઔષધી ઝેર ચડતાં 160 બાળકો બીમાર પડી ગયા હતા અને એમાંની એક બાળકીનું મૃત્યુ થયું હતું.