સાઈશ્રદ્ધાળુઓ માટે ખુશખબરઃ મુંબઈ-શિરડી માટે હવે રોજ ટ્રેન મળશે

મુંબઈ – મહારાષ્ટ્રના એહમદનગર જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ શિરડી સ્થિત સાઈબાબાના મંદિરે દર્શન કરવા જતા હજારો મુંબઈકર શ્રદ્ધાળુઓ ખુશ થઈ જાય એવી જાહેરાત રેલવે મંત્રાલયે કરી છે.

મુંબઈના દાદર (મધ્ય રેલવે)થી શિરડી (સાઈનગર શિરડી) વચ્ચે દર સોમવાર, બુધવાર અને શનિવારે જોડતી દાદર-સાઈનગર શિરડી એક્સપ્રેસ ટ્રેન સેવા હવેથી દૈનિક કરવામાં આવશે.

શિરડીના સાઈનગર રેલવે સ્ટેશનના વિસ્તારીકરણ કામને રેલવે મંત્રાલયે મંજૂરી આપી દીધી છે. એ કામ પૂરું થઈ ગયા બાદ મનમાડ અને કોપરગાંવ સુધી આવતી કેટલીક લાંબા અંતરની ટ્રેનો શિરડી સુધી લંબાવવામાં આવશે.

રેલવે પ્રધાન પિયૂષ ગોયલ ગયા શનિવારે શિરડીમાં સાઈબાબાના દર્શન કરવા ગયા હતા. એ વખતે એમણે સાઈનગર રેલવે સ્ટેશનનું નિરીક્ષણ કર્યું હતું. એ વખતે સાઈ સંસ્થાનના ચેરમેન ડો. સુરેશ હાવરેએ પિયૂષ ગોયલને વિવિધ માગણીઓ દર્શાવતું એક આવેદનપત્ર આપ્યું હતું.

એમાંની એક માગણી છે કે, મુંબઈથી દરરોજ શિરડી આવતા હજારો સાઈભક્તો માટે શરૂ કરવામાં આવેલી દાદર-સાઈનગર શિરડી એક્સપ્રેસ, જે હાલ અઠવાડિયામાં ત્રણ દિવસ દોડાવવામાં આવે છે એને રોજ દોડાવવામાં આવે. પિયૂષ ગોયલે એ માગણીનો તાબડતોબ સ્વીકાર કર્યો હતો અને રેલવે પ્રશાસનને આદેશ આપી દીધો છે.