અંધેરી પૂલ દુર્ઘટના મામલે મુંબઈ હાઈકોર્ટે કાઢી મહાપાલિકા, રેલવે તંત્રની ઝાટકણી

મુંબઈ – અંધેરી રેલવે સ્ટેશન ખાતે ગયા મંગળવારે ઓવરબ્રિજનો એક ભાગ તૂટી પડ્યો એ મામલે ભારતીય રેલવે તથા મુંબઈ મહાનગરપાલિકા (બૃહદમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન) મુંબઈ હાઈકોર્ટે ઝાટકણી કાઢી છે.

કોર્ટે જણાવ્યું છે કે તમે આ રીતે લોકોને મરવા દઈ ન શકો.

મહાનગરપાલિકા (બીએમસી) જ્યારે એમ કહ્યું કે એ બ્રિજ રેલવેની પ્રોપર્ટી છે ત્યારે કોર્ટે કહ્યું કે, ‘આ તો એ લોકોની પ્રોપર્ટી છે’ એમ કહી દેવું બહુ આસાન છે. મહાપાલિકાની હદમાં જે કંઈ બને એ માટે તમે (બીએમસી) પણ એટલા જ જવાબદાર છો.

વિભાગીય બેન્ચના ન્યાયમૂર્તિઓ નરેશ પાટીલ અને ગિરીશ કુલકર્ણી એ સાંભળીને ગુસ્સે ભરાયા હતા કે ઓવરબ્રિજ નબળો પડી ગયો હતો એની જાણવામાં રેલવેના અધિકારીઓ નિષ્ફળ ગયા હતા.

ન્યાયાધીશોએ કહ્યું કે બ્રિજ પડવાની તૈયારીમાં છે એની જાણકારી સત્તાવાળાઓને કેમ ન હોઈ શકે? મુંબઈમાં દરરોજ સરેરાશ 9 જણ રેલવેના પાટા પર મૃત્યુ પામે છે. એને કારણે પ્રવાસીઓને પણ તકલીફ પડે છે, તે છતાં કોઈને કંઈ પડી નથી.