ગાંધી જયંતીની ગિફ્ટઃ મહારાષ્ટ્રમાં 102 કેદીઓને છોડી મૂકાયા

મુંબઈ – દેશભરમાં આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 149મી જન્મજયંતી ઉજવવામાં આવી રહી છે તે પ્રસંગે મહારાષ્ટ્ર સરકારે 102 કેદીઓની સજા માફ કરી દીધી છે. આમાં, મુંબઈના 14 કેદીઓનો સમાવેશ થાય છે.

કેન્દ્ર સરકારે અગાઉ રાજ્ય સરકારને એવો પ્રસ્તાવ મોકલ્યો હતો કે જેમનો ગુનો ગંભીર પ્રકારનો ન હોય એવા કેદીઓ તેમજ જે કેદીઓએ કુલ સજાનો 66 ટકા ભાગ પૂરો કરી લીધો હોય એમને છોડી મૂકવા.

કેન્દ્ર સરકારે તમામ રાજ્યોની સરકારોને આ પ્રકારનો પ્રસ્તાવ મોકલ્યો હતો.

આજે એવા કેદીઓને છોડી મૂકવામાં આવ્યા છે જેમને ફાંસીની કે જન્મટીપની સજા થઈ ન હોય. તેમજ જેમનીને હત્યા, બળાત્કાર, અપહરણ, માનવ તસ્કરી, ત્રાસવાદ, સંઘઠિત ગુનાખોરી જેવા ગંભીર પ્રકારના ગુના બદલ જેલની સજા ફટકારવામાં આવી ન હોય.

જેમના ગુના ગંભીર પ્રકારના ન હોય એવા કેદીઓને છોડી મૂકવાના કેન્દ્ર સરકારના પ્રસ્તાવ બાદ રાજ્ય સરકારે પોલીસ તથા સરકારી અધિકારીઓની ચાર-સભ્યોની એક સમિતિની રચના કરી હતી.

ત્યારબાદ રાજ્યભરમાં જેલ સુપ્રિન્ટેન્ડન્ટ પાસેથી સજા દરમિયાન જેલમાં સારી વર્તણૂક દાખવનાર કેદીઓના નામોની યાદી મેળવી હતી. ત્યારબાદ સમિતિના સભ્યોએ કુલ મળેલા નામોમાંથી 102 કેદીઓની અંતિમ યાદી તૈયાર કરી હતી. આ કેદીઓને તબક્કાવાર જેલમાંથી મુક્ત કરવામાં આવશે.

જેમની સજા માફ કરવામાં આવી છે એમાં મહિલાઓ વધારે છે. ત્યારબાદ વ્યંડળો, વરિષ્ઠ નાગરિો, વિકલાંગ તથા વારંવાર બીમાર પડી જનાર કેદીઓનો સમાવેશ થાય છે. આ તમામ કેદીઓ મૂળથી ગુનેગાર નહોતા. આકસ્મિક રીતે અથવા સંજોગોને કારણે તેઓ ગુનો કરી બેઠા હતા