નવી દિલ્હી– રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ શનિવારે એક સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે બેંક એકાઉન્ટને આધાર કાર્ડ સાથે લિંક કરવું એ પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રિંગ કાયદા અનુસાર ફરજિયાત છે. રીઝર્વ બેંકનું સ્પષ્ટીકરણ ત્યારે આવ્યું કે જ્યારે ન્યૂઝ રીપોર્ટ આવ્યો કે કેન્દ્રીય બેંકે એક આરટીઆઈના જવાબમાં કહ્યું છે કે બેંક ખાતાને આધાર કાર્ડ સાથે લિંક કરવું ફરજિયાત નથી.
રીઝર્વ બેંકે એક ટ્વીટ કરીને કહ્યું હતું કે મિડિયામાં કેટલાક ન્યૂઝ રીપોર્ટ આવ્યા હતા, જેમાં આરટીઆઈ જવાબનો હવાલો આપતા દર્શાવ્યું હતું કે આધાર કાર્ડને બેંક ખાતા સાથે લિંક કરવું ફરજિયાત નથી. રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ટ્વીટ કરીને તુરત જ સ્પષ્ટતા કરી છે કે આધાર કાર્ડને બેંક ખાતા સાતે લિંક કરવું એ પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રિંગ દ્વિતિય સંશોધન નિયમ 2017 અનુસાર ફરજિયાત છે. જે પહેલી જૂન, 2017ના રોજ જાહેર કરાયેલ સત્તાવાર ગેઝેટમાં પ્રકાશિત થઈ ચુક્યું છે.