શ્રીલંકાના ‘ટર્મિનેટર’ ગણાતા નવા રાષ્ટ્રપતિ ગોતબાયા કોણ છે?

કોલંબોઃ શ્રીલંકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ચીનના નજીકના ગણાતા ગોતબાયા રાજપક્ષેને જીત મળી છે. તેઓ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મહિંદા રાજપક્ષેના ભાઈ છે. આમ તો ઘટના શ્રીલંકાના આંતરિક રાજકારણની છે છતાં તે ભારત માટે પણ ચિંતાની લકીર ખેંચે તેવી છે. કેમ કે ગોતાબાયાને ચીન તરફ ઝૂકાવ ધરાવનારા માનવામાં આવે છે. આ ઉપરાંત તમિળ સશસ્ત્ર સંગઠન એલટીટીઇ સામેના યુદ્ધ માટે પણ તેમને યાદ કરવામાં આવે છે. એક વર્ગનું માનવું છે કે તેંમણે અત્યંત નિર્દયતાથી એલટીટીઇ નાબૂદી માટે અભિયાન ચલાવ્યું હતું. તેમને ‘ટર્મિનેટર’ પણ કહેવામાં આવે છે. દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને ગોતબાયાને વિજય માટે અભિનંદન આપ્યાં છે.

આ ટાપુ દેશમાં ગોતબાયા વિવાદિત અને હીરો બંનેની છબી ધરાવે છે. મોટાભાગના સિંહાલી બૌદ્ધ તેમને ‘યુદ્ધ હીરો’ માને છે, જ્યારે મોટાભાગના તમિલ લઘુમતીઓ તેમને અવિશ્વાસથી જુએ છે. 70 વર્ષી ગોતબાયા એ નેતા છે જેમણે 1980ના દાયકામાં ભારતના પૂર્વોત્તર સ્થિત કાઉન્ટર ઇન્સર્જન્સી અને જંગલ વોરફેર સ્કૂલમાં તાલીમ લીધી હતી.

વર્ષ 2005થી 2014માં તેમણે સંરક્ષણ સચિવ તરીકે પણ કામ કર્યું હતું ત્યારે તેમના મોટાભાઈ મહિન્દા રાજપક્ષે રાષ્ટ્રપતિ હતાં. 1983માં, તેમણે મદ્રાસ યુનિવર્સિટીમાંથી સંરક્ષણ અધ્યયનમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી. ગોતબાયાએ 2012 અને 2013માં સંરક્ષણ સચિવ તરીકે ભારતની મુલાકાત લીધી હતી. તમિળ મૂળના એવા પરિવારો કે જેમના સ્વજન ગૃહ યુદ્ધ દરમિયાન મૃત્યુ પામ્યાં છે અથવા ગુમ થયાં છે તેઓએ ગોતબાયા પર યુદ્ધના ગુનાઓનો આરોપ મૂકેલો છે.

સિંહાલી બૌદ્ધોમાં ગોતબાયાની લોકપ્રિયતાને લઇને મુસ્લિમ સમુદાય ભયભીત છે. તેમને ડર છે કે ઇસ્ટર પર ઇસ્લામિક આતંકવાદીઓના ચર્ચો ઉપરના હુમલા પછી બંને સમુદાયો વચ્ચેનું અંતર વધશે. શ્રીલંકાની કુલ વસ્તીમાં હિંદુઓ અને મુસ્લિમો સંયુક્ત રીતે 20% હિસ્સો ધરાવે છે.

રાષ્ટ્રપતિની ચૂંટણી માટે શ્રીલંકા પીપલ્સ પાર્ટી (એસએલપીપી) ના ઉમેદવાર તરીકે નામ જાહેર થયાં પછી ઓક્ટોબરમાં પહેલી વખત મીડિયા સાથે વાત કરતાં ગોતબાયાએ કહ્યું કે જો તેઓ જીતશે તો, યુદ્ધની સમાપ્તિ પછી યુએન હ્યુમન રાઇટ્સ કાઉન્સિલ સમક્ષ દર્શાવવામાં આવેલી પ્રતિબદ્ધતા અથવા સમાધાનને માન નહીં આપે. તેમના એવા નિવેદનના કારણે લઘુમતીઓમાં ચિંતા વધી ગઈ છે.

ગોતબાયા પર નાગરિકો અને બળવાખોર તમિલોની અને અંધાધૂંધ હત્યા અને ત્યારબાદ રાજકીય હત્યાઓનો આરોપ મૂકવામાં આવ્યો છે. ગોતબાયા એલટીટીઇના હિટલિસ્ટમાં હતાં અને 2006માં સંગઠનના આત્મઘાતી હુમલાથી બચી ગયાં હતાં. માનવામાં આવે છે કે તે ચીન તરફ વધુ ઝૂકાવ ધરાવે છે. ગોતબાયાના ભાઈના શાસન દરમિયાન ચીને શ્રીલંકાના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં ભારે રોકાણ પણ કર્યું હતું.