દસોલ્ટના CEOની સ્પષ્ટતા, રાહુલ ગાંધીના તમામ આરોપને નિરાધાર ગણાવ્યા

ફ્રાન્સ- રાફેલ ડીલમાં રાહુલ ગાંધીના આરોપોને દસોલ્ટ કંપનીના CEO એરિક ટ્રેપિએ નિરાધાર ગણાવ્યા છે. એરિકે સમાચાર એજન્સીને આપેલા ઈન્ટરવ્યુમાં આ વાત જણાવી હતી. એરિક ટ્રેપિએ કહ્યું કે રિલાયન્સને દસોલ્ટે પસંદ કર્યું હતું. અને રાહુલ ગાંધી રાફેલ મુદ્દે જુઠ્ઠાણું ફેલાવી રહ્યાં છે.વધુમાં એરિકે જણાવ્યું કે, કોંગ્રેસ સાથે અમારો લાંબો અનુભવ છે. રાહુલ ગાંધીના નિવેદનથી દુઃખ થયું છે. વર્ષ 1953માં ભારત સાથે અમારી પ્રથમ ડીલ થઈ હતી. અમે કોઈ પાર્ટી માટે કામ નથી કરતા. અમે ઈન્ડિયન એરફોર્સ અને ભારત સરકારને મહત્વના ઉત્પાદન સપ્લાઈ કરી રહ્યાં છીએ.

ટ્રેપિએ જણાવ્યું કે, રિલાયન્સ ઉપરાંત અમારા અન્ય 30 પાર્ટનર છે. ઈન્ડિયન એરફોર્સ રાફેલ ડીલનું એટલા માટે સમર્થન કરી રહી છે, કારણ કે તેમને ફાઈટર જેટની જરુરિયાત છે. ટ્રેપિએ કહ્યું કે, 36 રાફેલ વિમાનોની કિંમત પણ એટલી જ રાખવામાં આવી છે, જેટલી 18 વિમાનોની હતી. જ્યારે કિંમત બે ગણી થઈ હતી.

વિમાનોની કિંમત અંગે તેમણે કહ્યું કે, જે વિમાનો ભારતને મળી રહ્યાં છે તે લગભગ 9 ટકા સસ્તા છે. 36 વિમાનનો રેટ હાલમાં જે છે તે કરતા ડબલ થઈ શકતો હતો પણ સરકાર સાથે આ ડીલ થઈ હોવાથી ભાવ વધારાયો નથી.

રેડી ટુ ફ્લાય સ્થિતિમાં ખરીદાયેલા રાફેલ વિમાન 126 વિમાનોની અગાઉની ડીલ કરતા સસ્તા છે. જો 126 વિમાનોની ડીલ થઈ હોત તો કરાર HALને જ મળવાનો હતો. છેલ્લે HAL દ્વારા કહેવામાં આવ્યું હતું કે, ઓફસેટમાં સામેલ થવા માટે તે ઈચ્છુક નથી. જેનાથી કરાર રિલાયન્સ સાથે કરવામાં આવ્યો છે.