પાકિસ્તાને ફરી આલાપ્યો કશ્મીર રાગ, જાપાન રાજદૂતે કરી પાક.ની અવગણના

ઈસ્લામાબાદ- વૈશ્વિક મંચ ઉપર વારંવાર કશ્મીરનો મુદ્દો ઉઠાવનારા પાકિસ્તાનને ફરી એકવાર શરમજનક સ્થિતિમાં મુકાવું પડ્યું છે. આ વખતે પાકિસ્તાનમાં સ્થિત જાપાનના રાજદૂત તકાશી કુરાઈ સાથે એક બેઠક દરમિયાન પાકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર નાસિર જંજુઆએ કશ્મીર મુદ્દો ઉઠાવ્યો હતો. પરંતુ જાપાની રાજદૂતે તે અંગે કોઈ પ્રતિભાવ આપ્યો નહીં અને કશ્મીર મુદ્દો ટાળી દીધો અને અફઘાનિસ્તાનનો મુદ્દો ઉઠાવ્યો હતો.એક અંગ્રેજી અખબારના જણાવ્યા મુજબ પાકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર નાસિર જંજુઆએ જાપાનના રાજદૂત તકાશી કુરાઈને જણાવ્યું કે, કશ્મીર મુદ્દેથી વિશ્વનું ધ્યાન હટાવવા માટે ભારતીય સેના LoC પર ફાયરિંગ કરે છે. જોકે જાપાનના રાજદૂતે આ મુદ્દાને નજરઅંદાજ કર્યો હતો. અને અફઘાનિસ્તાનની સ્થિતિ અંગે જવાબ માગ્યો હતો.

જાપાનના રાજદૂતને જવાબ આપતા નાસિર જંજુઆએ કહ્યું કે, પાકિસ્તાનના વડાપ્રધાન શાહિદ અબ્બાસીએ હાલમાં જ અફઘાનિસ્તાનની યાત્રા કરી હતી. અને શાંતિમંત્રણાની શરુઆત કરવા માટે અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ઘનીના વખાણ પણ કર્યા હતા.