ભારત સાથે વ્યાપાર બંધ કરવાનું પાક.ને મોંઘુ પડ્યું, 300 રુપિયા કિલો થયા ટામેટા…

નવી દિલ્હીઃ જમ્મૂ-કાશ્મીરમાંથી મોદી સરકારના આર્ટિકલ 370 દૂર કરવાના નિર્ણયથી હચમચી ગયેલા પાકિસ્તાનને ભારત સાથે વ્યાપાર બંધ કરવાનું મોંઘુ પડી રહ્યું છે. ભારતથી નિર્યાત કરવામાં આવનારા સામાનો પર પૂરી રીતે રોક લગાવવામાં આવ્યા બાદ પાકિસ્તાનમાં ટામેટાના ભાવમાં આગ લાગી ગઈ છે અને કીંમત 300 રુપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે. ટામેટાના ભાવમાં અચાનક વધારાથી પાકિસ્તાનના લોકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. એક તો પાકિસ્તાનમાં જનતા પહેલાથી જ મોંઘવારીનો માર સહન કરી રહી છે અને બીજુ બાજુ હવે 300 રુપિયાના કીલો ટામેટા મળી રહ્યા છે. જેનાથી જનતા માટે પડ્યા પર પાટુ જેવી સ્થિતી ઉભી થઈ છે.

ટામેટાના ભાવમાં આ પ્રકારના વધારાથી સ્પષ્ટ થઈ ગયું છે, કે પાક. વડાપ્રધાન ઈમરાન ખાને ભારત સાથે વ્યાપાર બંધ કરવાનો જે નિર્ણય કર્યો તેની સીધી-મોટી-અને માઠી અસર પાકિસ્તાનની સામાન્ય જનતા પર પડી છે. હકીકતમાં ભારત દ્વારા રોજ લીલા શાકભાજી અને ખાસ કરીને ટામેટાનો એક મોટો જથ્થો પાકિસ્તાનમાં એક્સપોર્ટ કરવામાં આવતો હતો જેના કારણે ત્યાં શાકભાજી અને ટામેટાના ભાવ નિયંત્રીત રહેતા હતા. પરંતુ પાકિસ્તાન સરકારના વ્યાપાર રોકવાના નિર્ણય બાદ હવે ભારતથી ટામેટાનો સપ્લાય ખતમ થઈ ગયો છે જેનાથી ત્યાં ટામેટાના ભાવ આસમાને પહોંચી ગયા છે.

તો પાકિસ્તાનના પોતાના પગ પર જ કુહાડી મારવા જેના આ નિર્ણયને લઈને ભારતીય ટ્રક ઓપરેટરોએ કહ્યું કે જો પાકિસ્તાનને લાગે છે કે વ્યાપાર બંધ કરવાથી નુકસાન ભારત અને અટારી બોર્ડર પર ખેડુતો, ટ્રક ઓપરેટરો અને અન્ય વ્યાપારીઓને થશે તો તે પાકિસ્તાનની મૂર્ખતા છે. કારણ કે પાકિસ્તાનમાં શાકભાજીના ભાવ હવે આઉટ ઓફ કંટ્રોલ થઈ જશે અને ત્યાં હાહાંકાર મચી જશે.

જમ્મૂ-કાશ્મીરને લઈને ભારત તરફથી લેવામાં આવેલા નિર્ણયથી પાકિસ્તાન એટલી હદે હતાશ થઈ ગયું છે કે તે ભારતને આર્થિક અને સામરિક રીતે નુકસાન પહોંચાડવાની ચાહમાં એક બાદ એક એવા નિર્ણયો લઈ રહ્યું છે કે જેનાથી તે પોતે જ બર્બાદ થઈ રહ્યું છે. પાકિસ્તાનની ઈમરાન ખાન સરકારે પહેલા સમજોતા એક્સપ્રેસને રદ્દ કરી અને ત્યાર બાદ દિલ્હી-લાહોર બસ સેવાને પણ સ્થગિત કરી દીધી. જો કે ભારત જમ્મૂ-કાશ્મીર પર લેવામાં આવેલા નિર્ણયને સ્પષ્ટ શબ્દોમાં દેશનો આંતરીક મામલો ગણાવી ચૂક્યું છે. પરંતુ પાકિસ્તાન કાશ્મીરથી 370 હટાવવાના નિર્ણયને આંતરરાષ્ટ્રી મુદ્દો બનાવવાના કામમાં જોતરાયેલું છે. પાકિસ્તાનને આ મામલે પણ નિરાશા હાથ લાગી છે કારણ કે કોઈ અન્ય દેશ તેની આ મામલે મદદ કરવા તૈયાર નથી.