ભારત સાથે વાટાઘાટ શક્ય નથીઃ પાકિસ્તાની વિદેશપ્રધાન

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મેહમૂદ કુરેશીએ કહ્યું છે કે હાલની પરિસ્થિતિમાં ભારત સાથે અમારી રાજદ્વારી વાટાઘાટ થાય એવી કોઈ શક્યતા નથી. જોકે ભારત સરકાર તો તેના અગાઉના વલણને વળગી રહી છે કે વાટાઘાટ અને ત્રાસવાદી હુમલા, બંને સાથોસાથ રહી ન શકે. ભારત સાથે વાટાઘાટ કરતા પહેલાં પાકિસ્તાન સરકાર ભારત ઉપર અનેકવાર ત્રાસવાદી હુમલાઓ કરવા માટે જવાબદાર ટેરર જૂથો સામે પગલાં લઈ બતાવે.

ડોન અખબારના અહેવાલે પાક વિદેશ પ્રધાન કુરેશીને એવું કહેતા ટાંક્યા છે કે હાલની પરિસ્થિતિમાં ભારત સાથે પાછલા બારણે કે રાજદ્વારી વાટાઘાટ કરવાની કોઈ શક્યતા નથી. હાલ કોઈ પણ પ્રકારની વાટાઘાટ કરવા માટે સંજોગો અનુકૂળ નથી. કુરેશીએ ગઈ કાલે એમના વતન મુલતાનમાં પત્રકારો સાથેની વાતચીતમાં આમ જણાવ્યું હતું.