પત્નીની અંતિમ વિધિમાં હાજરી આપવા નવાઝ શરીફને 12 કલાકના પેરોલ

ઈસ્લામાબાદ- પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને ભ્રષ્ટાચારના આરોપમાં જેલમાં સજા ભોગવી રહેલા નવાઝ શરિફના પત્ની કુલસુમ નવાઝનું ગતરોજ લંડનમાં નિધન થયું હતું. જેની અંતિમ વિધિમાં હાજરી આપવા માટે નવાઝ શરિફ, તેમની પુત્રી મરિયમ નવાઝ અને જમાઈ કેપ્ટન સફદરને 12 કલાકના પેરોલ પર છોડવામાં આવશે.તમામને કુલસુમ નવાઝની અંતિમ વિધિમાં શામેલ થવા દેવામાં આવશે. કુલસુમ નવાઝના અંતિમ સંસ્કાર લાહોરમાં કરવામાં આવશે. જોકે આ દરમિયાન તેમને કેટલાક નિયમોનું પાલન પણ કરવું પડશે. આપને જણવી દઈએ કે, 68 વર્ષના કુલસુમ નવાઝ છેલ્લા કેટલાક સમયથી ગળાના કેન્સરથી પીડાઈ રહ્યાં હતાં. અને લંડનમાં તેમનો ઈલાજ ચાલી રહ્યો હતો.

મળતી માહિતી મુજબ લાહોરમાં કુલસુમ નવાઝની અંતિમ વિધિ કરાયા બાદ તેમની યાદમાં લંડનમાં શોક સભાનું આયોજન કરવામાં આવશે. જ્યાં પાકિસ્તાનના પૂર્વ પ્રથમ મહિલા તરીકે તેમનું મરણોપરાંત સમ્માન કરવામાં આવશે.

લંડનની હાર્લે સ્ટ્રીટ ક્લીનિકમાં જૂન 2017થી કુલસુમ નવાઝની સારવાર ચાલી રહી હતી. જેમને સોમવારથી ડોક્ટર્સે લાઈફ સપોર્ટ પર રાખ્યા હતા. હાલમાં નવાઝ શરીફ અને તેમની દીકરી મરીયમ નવાઝ પાકિસ્તાનની જેલમાં બંધ છે. જેમને કુલસુમની અંતિમ વિધિ માટે 12 કલાકના પેરોલ આપવામાં આવશે. આપને જણાવીએ કે, વર્ષ 1971માં નવાઝ શરીફ અને કુલસુમ નવાઝના નિકાહ થયા હતા.