માઉન્ટ એવરેસ્ટ સર કરનારાં પર્વતારોહીઓની સંખ્યા આ વર્ષે રેકોર્ડ સ્તર પર

કાઠમાંડુ- વિશ્વના સૌથી ઉંચા પર્વત પર પહોંચનાર પર્વતારોહીયોની સંખ્યામાં આ વર્ષે વધારો થઈ રહ્યો છે. 1953માં એવરેસ્ટ સર કરનાર એડમન્ડ હિલેરી અને તેનજિંગ નાર્જે પહેલાં પર્વતારોહી હતાં. હિમાલયન ડેટા બેઝ અનુસાર ત્યારથી અત્યાર સુધી 4000 પર્વતારોહી માઉન્ટ એવરેસ્ટ સર કરવા માટે પહોંચી ચૂક્યાં છે. છેલ્લાં કેટલાક વર્ષોમાં પર્વતારોહીઓની સંખ્યામાં રેકોર્ડ વૃદ્ધિ જોવા મળી છે.

હાલમાં નક્કી કરેલી રકમ ચૂકવવા માટે તૈયાર હોય તેવા તમામ આવેદનકર્તાઓને નેપાળ સરકાર મંજૂરી આપે છે. આ રકમ 11 હજાર ડોલર એટલે કે, અંદાજે 7.7 લાખ રૂપિયા જેટલી છે. પ્રવાસન વિભાગના જણાવ્યા અનુસાર આ વર્ષે 378 પર્વતારોહીઓને મંજૂરી આપવામાં આવી છે. આ અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. 2017માં 373 લોકોને મંજૂરી આપવામાં આવી હતી. આમાંથી મોટોભાગના પર્વતારોહીઓને ત્યાં ઉંચાઈ સુધી પહોંચવા માટે સ્થાનિક નેપાળી ગાઈડની જરૂર હોય છે. એનો મતલબ એ છે કે, લગભગ સૌથી ઉંચા પર્વતની ચોટી સુધીની યાત્રા માટે 750 લોકો આગામી સપ્તાહે ચઢાઈ શરુ કરશે. આ વર્ષ અન્ય એક રીતે પણ ખાસ છે, કારણ કે, આ વર્ષે માઉન્ટ એવરેસ્ટ ચડનારી મહિલાઓની સંખ્યા સૌથી વધુ હશે.

નેપાળ ઉપરાંત કેટલાક લોકો તિબ્બતવાળા માર્ગેથી પણ એવરેસ્ટની યાત્રા કરે છે. આ વખતે ઉત્તરી તિબ્બતના રસ્તેથી યાત્રા કરનારાઓની સંખ્યા 140 છે. નિષ્ણાતોનું કહેવું છે કે, 2018માં 807 પર્વતારોહીઓએ ચઢાણ શરુ કર્યું જેમાંથી 5 લોકોના મોત થયાં હતાં.  પર્વતારોહીઓની વધતી જતી સંખ્યાના કેટલીક જોખમી આડઅસરો પણ હોય શકે છે. જેટલી વધુ સંખ્યામાં પર્વતારોહીઓ હશે એટલી જ મોટી ટીમ પણ હશે. જેથી ઓક્સિજનની અછત વર્તાય શકે છે. ઠંડીની તીવ્રતાથી થતી આડઅસરને કારણે કયારે કોઈ પર્વતારોહીનું મોત પણ થઈ જાય છે.

પર્વતારોહીઓની વધતી જતી સંખ્યાને કારણે જોખમ વધી શકે છે, આ સ્થિતિમાં નેપાળ સરકાર યાત્રીઓની સંખ્યા નિશ્ચિત કરી શકે છે. જો કે, પર્વતારોહીઓ પાસે વસૂલવામાં આવતી રકમને જોતાં હાલમાં એવું લાગી રહ્યું છે કે, નેપાળ સરકાર બિઝનેસ પર ધ્યાન આપી રહી છે. સરકાર સંખ્યા સીમિત કરવાના વિકલ્પ પર વિચાર નથી કરી રહી. 2019માં એવરેસ્ટ ચઢવા માટે પરમીટ આપવાને બદલામાં સરકારે 4 મિલિયન અમેરિકન ડોલરની આવક મેળવી છે. આર્થિક સંકટમાંથી પસાર થઈ રહેલા નેપાળની સરકાર માટે આ રકમ પણ ઘણું મહત્વ ધરાવે છે.