કશ્મીર મુદ્દે ઉકેલ લાવવાનો ઈમરાન ખાનનો ભારતને અનુરોધ

ઈસ્લામાબાદ – જમ્મુ અને કશ્મીર રાજ્યના દક્ષિણ કશ્મીરના કુલગામ જિલ્લામાં એક એન્કાઉન્ટર સ્થળે રવિવારે એક વિસ્ફોટમાં છ નાગરિકોનાં મરણ નિપજ્યા બાદ આજે, પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને તે ઘટનાને વખોડી કાઢી છે અને કહ્યું છે કે ભારતે હવે કશ્મીર મુદ્દો ઉકેલી દેવો જોઈએ.

ટ્વિટર સાથેની વાતચીતમાં, ઈમરાન ખાને કહ્યું હતું કે ભારતીય સુરક્ષા દળો દ્વારા નિર્દોષ કશ્મીરીઓની હત્યાઓની નવી શરૂઆતને હું કડક રીતે વખોડી કાઢું છું. ભારતે હવે એ સમજી લેવાનો સમય આવી ગયો છે કે સંયુક્ત રાષ્ટ્રોની સુરક્ષા પરિષદે પાસ કરેલા ઠરાવો અન્વયે તેમજ કશ્મીરી લોકોની ઈચ્છાને માન આપીને વાટાઘાટ દ્વારા કશ્મીર સમસ્યાનો ઉકેલ લાવવો જ જોઈએ.

રવિવારે, કુલગામ જિલ્લામાં એક એન્કાઉન્ટર સ્થળે એક વિસ્ફોટ થતાં છ નાગરિકો માર્યા ગયા હતા. એ પહેલાં, એન્કાઉન્ટર દરમિયાન સુરક્ષા જવાનોએ ત્રણ ત્રાસવાદીઓને ઠાર માર્યા હતા.