પાકિસ્તાન સરકારે કરેલા મુશર્રફની ધરપકડના આગ્રહને ઈન્ટરપોલે નકારી કાઢ્યો

ઈસ્લામાબાદ- પાકિસ્તાન સરકારે જણાવ્યું છે કે. પાકિસ્તાન સેનાના પૂર્વ વડા અને સરમુખત્યાર શાસક પરવેઝ મુશર્રફની ધરપકડ માટેની વિનંતીને ઈન્ટરપોલ દ્વારા ફગાવી દેવામાં આવી છે.પરવેઝ મુશર્રફ સામે દેશદ્રોહના મામલાની સુનાવણી કરી રહેલી વિશેષ અદાલતને પાકિસ્તાન સરકારે જણાવ્યું કે, મુશર્રફની ધરપકડ કરવાના તેમના આદેશને ઈન્ટરપોલ દ્વારા એમ કહીને નકારી કાઢવામાં આવ્યો છે કે, તેઓ રાજકીય પ્રકૃતિના મામલામાં દખલ કરવા માગતા નથી.

હાલમાં દુબઈમાં રહેનારા પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફ સામે દેશદ્રોહના કેસની સુનાવણી ટ્રાઈબ્યુનલ દ્વારા ફરીવાર શરુ કરાયા બાદ પાકિસ્તાન સરકાર તરફથી ઉપરોક્ત પ્રતિક્રિયા આપવામાં આવી છે.

આપને જણાવી દઈએ કે, પરવેઝ મુશર્રફ પર વર્ષ 2007માં પાકિસ્તાનમાં કટોકટી લાગૂ કરીને દેશના બંધારણને નિલંબીત કરવાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. અને સુરક્ષા કારણોનો ઉલ્લેખ કરીને મુશર્રફ પાકિસ્તાન પરત આવતાનો ઈનકાર કરી રહ્યાં છે.

પાકિસ્તાનના ગૃહ મંત્રાલયે મુશર્રફને દેશમાં પરત લાવવા માટેના પ્રયત્નો પર પ્રતિક્રિયા આપતા અદાલતને જણાવ્યું કે, ઈન્ટરપોલને રેડ વોરંટ જારી કરવા માટે પત્ર લખવામાં આવ્યો હતો. પરંતુ ઈન્ટરપોલે એમ જણાવીને પત્ર પરત મોકલી આપ્યો કે, તેઓ રાજકીય બાબતોમાં દખલ નહીં કરે. પાકિસ્તાનના ગૃહસચિવે જણાવ્યું કે, ‘સરકારે મુશર્રફને પરત લાવવા ઈન્ટરપોલનો સંપર્ક કર્યો હતો, પરંતુ તેમણે આ વિનંતી સ્વીકારી નથી’.