નાથૂલા માર્ગથી ફરી શરૂ થશે કૈલાસ માનસરોવર યાત્રાઃ સુષમા સ્વરાજ

બેજિંગઃ વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે ભારત અને ચીને સિક્કિમમાં નાથૂલા માર્ગથી કૈલાસ માનસરોવર યાત્રા ફરીથી શરૂ કરવાની સહમતી વ્યક્ત કરી છે. આશરે 10 મહિના પહેલા ડોકલામમાં સર્જાયેલા ગતિરોધ બાદ આ યાત્રા રોકી દેવામાં આવી હતી. વિદેશપ્રધાન સુષમા સ્વરાજની બીજિંગમાં ચીનના વિદેશ પ્રધાન વાંગ યી સાથે થયેલી વાતચીત દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો છે.

સુષમા સ્વરાજે આ અંગે મીડિયાને માહિતી આપતા જણાવ્યું કે અમે એ વાતથી ખુશ છીએ કે આ વર્ષે નાથુલા માર્ગથી કૈલાસ માનસરોવર યાત્રા ફરીથી શરૂ થશે. તેમણે જણાવ્યું કે મને વિશ્વાસ છે કે આ વર્ષે ચીનના પૂરા સહયોગથી આ યાત્રા ભારતીય તિર્થયાત્રીઓ માટે આનંદદાયી અનુભવ હશે. ગત વર્ષે ડોકલામમાં ભારત સાથે સૈન્ય ગતિરોધ બાદ ચીને યાત્રા રોકી દીધી હતી.

ભારતીય સૈનિકો દ્વારા ચીનની સેનાને ભૂટાનના દાવાવાળા વિસ્તારમાં રોડ બનાવવાથી રોકવામાં આવ્યા બાદ 16 જૂનના રોજ બંન્ને વચ્ચે ગતિરોધની સ્થિતી સર્જાઈ હતી અને અંતે 28 ઓગષ્ટના રોજ આ સ્થિતી સમાપ્ત થઈ હતી.