નવાઝ શરીફને વધુ સારવાર માટે અમેરિકા લઇ જવાય એવી શક્યતા

લાહૌર: ગંભીર બિમારીનો સામનો કરી રહેલા પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફને વધુ સારી સારવાર માટે આગામી સપ્તાહે લંડનથી અમેરિકા લઈ જવામાં આવે તેવી શકયતા છે. મીડિયા રિપોર્ટમાં આ વાત સામે આવી છે. શરીફને 19 નવેમ્બરે સારવાર માટે એર એમ્બ્યુલન્સના દ્વારા પાકિસ્તાનથી લંડન લઈ જવામાં આવ્યા હતાં. લાહૌરની હાઈકોર્ટે તેમને સારવાર માટે ચાર સપ્તાહની વિદેશ જવાની મંજૂરી આપી હતી. હવે ડોક્ટરની ભલામણને આધારે આ સમયગાળો કોર્ટ લંબાવી શકે છે.

પાકિસ્તાનના સમાચાર પત્ર ડોને નવાઝ શરીફના પરિવાર સાથે જોડાયેલા સૂત્રોના હવાલેથી કહ્યું કે, નવાઝ શરીફને 16 ડિસેમ્બરે વધુ સારવાર માટે અમેરિકા લઈ જવામાં આવી શકે છે.

મહત્વનું છે કે, અલ અજીજિયા મિલ્સ ભ્રષ્ટાચાર મામલે ઈસ્લામાબાદ હાઈકોર્ટે સારવારને ધ્યાનમા રાખતા શરીફને હાલમાં જ 8 સપ્તાહના જામીન આપ્યા હતા. આ મામલે શરીફને સાત વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી હતી. શરીફને મની લોન્ડરિંગ મામલે પણ લાહૌર હાઈકોર્ટમાંથી જામીન મળ્યા હતા. પાકિસ્તાનના ત્રણ વખથ વડાપ્રધાન રહેલા અને પાકિસ્તાન મુસ્લિમ લીગ (નવાઝ) સુપ્રીમો અનેક પ્રકારની બિમારીઓથી પીડાઈ રહ્યા છે.