પાકિસ્તાનમાં આ હિંદુ ક્રિકેટરની કફોડી હાલત, ઈમરાન ખાન પાસે માંગી મદદ

નવી દિલ્હીઃ પાકિસ્તાની ટીમના પૂર્વ સ્પિનર અને સ્પોર્ટ ફિક્સિંગના કારણે પ્રતિબંધિત ખેલાડી દાનિશ કનેરિયા ગઈકાલથી ચર્ચામાં છે. પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ ફાસ્ટ બોલર ઓએબ અખ્તરે દાનિશ કનેરિયા મામલે મોટો ખુલાસો કર્યો હતો કે હિંદૂ હોવાના કારણે દાનિશના સાથે ભેદભાવ કરવામાં આવતો હતો. ઓએબના આ દાવાને દાનિશ કનેરિયાએ યોગ્ય ગણાવ્યો છે. જો કે આ વચ્ચે દાનિશ કનેરિયાએ વડાપ્રધાન ઈમરાન ખાન પાસેથી મદદ માંગી છે.

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન સાથે દાનિશ કનેરિયાએ મદદની માંગ કરી છે, કારણ કે તેમની સ્થિતિ પાકિસ્તાનમાં ખરાબ છે. દાનિશ કનેરિયાએ કહ્યું છે કે, મારી સ્થિતિ ખૂબ ખરાબ છે અને મેં પાકિસ્તાન અને આખી દુનિયામાં ઘણા લોકો પાસેથી મદદ માંગી છે પરંતુ હજી મને કોઈ મદદ મળી શકી નથી. પાકિસ્તાનમાં ઘણા ક્રિકેટરોની ખરાબ સ્થિતિ અને તેમની સમસ્યાઓનું સમાધાન લાવવામાં આવ્યું છે. ત્યારે આવામાં મને વિશ્વાસ છે કે પાકિસ્તાની મારી મદદ કરશે.

દાનિશ કનેરિયાએ જણાવ્યું કે, મેં ક્રિકેટર તરીકે પાકિસ્તાની ટીમ માટે મારુ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે અને મને આ વાત પર ગર્વ છે. મને લાગે છે કે અત્યારે પાકિસ્તાનના લોકો મારી મદદ માટે આગળ આવશે. કનેરિયાએ કહ્યું કે, મેં ઘણા મહાન પાકિસ્તાની અને દુનિયાભરના ક્રિકેટરો પાસેથી મારી આ મુશ્કેલીમાંથી મને બહાર કાઢવા માટે મદદ માંગી છે, જેમાં પાકિસ્તાનના વર્તમાન વડાપ્રધાન અને પૂર્વ ક્રિકેટર ઈમરાન ખાનનો સમાવેશ થાય છે.

આ મામલે નિવેદન આપતા ભારતના પૂર્વ ક્રિકેટર અને વર્તમાન સમયમાં ભાજપમાંથી સાંસદ ગૌતમ ગંભીરે પણ પ્રતિક્રિયા આપી છે. ગંભીરે આ આખા મામલાને શરમજનક મામલો ગણાવ્યો છે અને સાથે જ કહ્યું છે કે આ મામલો પાકિસ્તાનની અસલી વાસ્તવિકતા દર્શાવે છે. ગંભીરે કહ્યું કે અમારા ત્યાં મોહમ્મદ અઝરુદ્દીન જેવા ક્રિકેટર રહ્યા છે, જેમણે 80-90 ટેસ્ટ મેચોમાં ભારતીય ટીમમાં કેપ્ટનની જવાબદારી નિભાવી છે. આ ઘટના પાકિસ્તાનની વાસ્તવિકતાને ઉજાગર કરે છે અને તેમની એક ખેલાડી તરીકે ઈમરાન ખાન દેશના વડાપ્રધાન છે પરંતુ આમ છતા પણ તેમના દેશમાં ખેલાડીઓને આ પ્રકારની પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે. કનેરિયા પાકિસ્તાન માટે 60 મેચ રમ્યો છે અને આ ઘટના શરમજનક છે.