ભારત સાથે વ્યાપારિક સંબંધો તોડતું પાકિસ્તાન, UNSC લઈ જશે 370નો મુદ્દો

નવી દિલ્હી-  જમ્મુ કશ્મીરમાં 370 કલમ દૂર કરવાનો પાકિસ્તાનમાં જોરશોરથી વિરોધ કરવામાં આવી રહ્યો છે. ભારતના વલણ બાદ પાકિસ્તાનમાં બેઠકોનો દોર શરુ થયો હતો. પાકિસ્તાન પીએમ ઇમરાન ખાને આ મુદ્દાને યુએનએસસીમાં લઇ જવાનો નિર્ણય કર્યો છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને આ મામલે આજે એક ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી હતી. આ બેઠકમાં પાકિસ્તાન તરફ ભારત વિરુદ્ધ અનેક મોટા નિર્ણયો લેવામાં આવ્યાં છે.

બેઠકમાં પાકિસ્તાન રાષ્ટ્રીય સુરક્ષા સમિતિએ ભારતની સાથે દ્વિપક્ષીય વ્યાપાર પર પ્રતિબંધ મૂકી દીધો છે. બેઠકમાં નક્કી કરવામાં આવ્યું છે કે, પાકિસ્તાન ભારતની સાથે તેમના દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરશે.

વડાપ્રધાન ઈમરાન ખાને કહ્યું હતું કે, પાકિસ્તાન કશ્મીર પર ભારતની કાર્યવાહીને લઈને સુરક્ષા પરિષદ સહિત સંયુક્તરાષ્ટ્ર સમક્ષ આ મુદ્દાને ઉઠાવશે. પાકિસ્તાનના વડાપ્રધાને ભારતની સાથે રાજકીય સંબંધોના સ્તરને ઘટાડી દીધું છે, અને દ્વિપક્ષીય વ્યાપાર પર પ્રતિબંધ લગાવી દીધો છે.

 

મહત્વનું છે કે, ઈમરાન ખાને અગાઉ એમ પણ કહ્યું હતું કે, પાકિસ્તાન આ મામલો સંયુક્ત રાષ્ટ્રમાં લઈને જશે અને આર્ટિકલ 370 ને દૂર કરવાથી ભારતમાં પુલવામા જેવા આતંકી હુમલાઓ પણ થઈ શકે છે.