માલદીવ: ચૂંટણીમાં પરાજય છતાં પદ છોડવા નથી ઈચ્છતા અબ્દુલ્લા યામીન

માલે- માલદીવમાં ચૂંટણી બાદ પણ રાજકીય સંકટ વધી રહ્યું છે. મુખ્ય વિરોધ પક્ષના નેતા અહમદ નાસીમે આંતરરાષ્ટ્રીય સહાય માટે આહ્વાન કર્યું છે. માલદીવના પૂર્વ વિદેશપ્રધાન અહમદ નસીમે તેમના દેશમાં સત્તાના શાંતિપૂર્ણ હસ્તાંતરણ માટે આંતરરાષ્ટ્રીય સમર્થન માગ્યું છે.આ માગ એવા સમયમાં કરવામાં આવી છે જ્યારે પૂર્વ પ્રેસિડેન્ટ અબ્દુલ્લા યમિન ચૂંટણીમાં તેમના કારમા પરાજય છતાં પણ સત્તામાં ટકી રહેવા પ્રયાસ કરી રહ્યાં છે. અને સત્તા છોડવા તૈયાર નથી.

ગત રોજ સંયુક્ત વિપક્ષના ઉમેદવાર અને ભારત સમર્થક ઇબ્રાહિમ મોહમ્મદ સોલિહે ચીનના વફાદાર અને વર્તમાન પ્રેસિડેન્ટ અબ્દુલ્લા યામીનને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પરાજય આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, તેમના પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન અબ્દુલ્લા યામિને તેમના લગભગ તમામ મુખ્ય પ્રતિસ્પર્ધીઓને જેલમાં ધકેલી દીધા હતા અથવા તેમને દેશનિકાલ કરવાની ફરજ પાડી હતી.