ચોક્કસ કંપનીનો જ વાહન વીમો લેવાનો આગ્રહ કરનાર સામે પગલાં લેવાશે

ગાંધીનગર- મોટર વાહન અધિનિયમ મુજબ નાગરિકો જ્યારે નવું વાહન ખરીદે તે સમયે વાહનમાલિક પોતાની રીતે, પોતાની પસંદગીની માન્ય વીમા કંપની પાસેથી વીમો મેળવી શકે છે. વાહન માલિક તરીકે ગ્રાહક કોઇપણ માન્ય કંપની પાસેથી વીમો લેવા સ્વતંત્ર છે. વાહનના ડીલર વાહન માલિક પાસે અમુક જ કંપનીનો વીમો લેવાનો આગ્રહ રાખી શકશે નહીં.

વાહન વ્યવહાર કમિશનર, ગાંધીનગરની યાદીમાં વધુમાં જણાવાયું છે કે, વાહન ખરીદનાર ગ્રાહકને અમુક જ વીમા કંપની પાસેથી વાહનનો વીમો લેવા કે તે રીન્યુ કરાવવા આગ્રહ રાખવો તે બાબત ગેરકાયદેસર છે. અને ગ્રાહકો તરફથી આવી કોઇ ફરીયાદ મળશે તો તે અંગે જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, જેની નોંધ લેવા વાહન ડીલરોને વાહન વ્યવહાર કમિશનર દ્વારા તાકીદ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, જ્યારે કોઇ વ્યક્તિ કોઇપણ પ્રકારનું નવું વાહન ખરીદે અથવા ખરીદેલું વાહન રીન્યુ કરાવવાનું થાય ત્યારે મોટર વાહન કાયદા હેઠળ વીમો લેવો ફરજિયાત છે.