રાજ્ય યોગ બોર્ડની રચનાની જાહેરાત સાથે ઉજવાયો વિશ્વ યોગ દિવસ, સીએમ રુપાણીએ કરી અમદાવાદમાં…

અમદાવાદ– આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે. આ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં કરવામાં આવી હતી. ર૧ જૂન-ર૦૧૯ના પાંચમાં  વિશ્વ યોગ દિવસની ઉજવણી ગુજરાતમાં જનઉત્સાહ અને ઉમંગ સાથે પ૦ હજારથી વધુ સ્થાનોએ સામૂહિક યોગ ક્રિયાથી કરવામાં આવી હતી. આ અવસરે મુખ્યપ્રધાન વિજય રુપાણી સહિત પ્રધાનો અને અમદાવાદના મેયર સહિતના પદાધિકારીઓ, અધિકારીગણ અને પ્રજાવિશેષે ઉમળકાભેર ભાગ લીધો હતો.મુખ્યપ્રધાન રૂપાણીએ પાંચમા વિશ્વ યોગ દિવસે રાજ્યમાં યોગ સાધના અને સ્વસ્થ જીવન માટે જન જન સુધી યોગ ના પ્રચાર પ્રસાર માટે ગુજરાતમાં રાજ્ય યોગ બોર્ડ ની રચના કરવાની જાહેરાત કરી છે.તેમણે અમદાવાદમાં પાંચમા વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં રાજ્યપાલ ઓ પી કોહલી સાથે સહભાગી થતાં આ મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સક્રીય પ્રયાસોથી ર૦૧૪માં યુ.એન.માં ભારતીય યોગ પરંપરાને વૈશ્વિક સ્વીકૃતિ મળી અને ર૦૧૫ થી દર વર્ષે તા. ર૧ જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવાનું નક્કી થયું છે.

આ વર્ષે વિશ્વ યોગ દિવસની ઉજવણીની પાંચમી કડીમાં ગુજરાતમાં ૩૩ જિલ્લાઓ ૮ મહાનગરો તેમજ જિલ્લા, તાલુકા, નગરપાલિકા કક્ષાએ મળીને ૧ કરોડ પ૧ લાખથી વધુ નાગરિકોને સામૂહિક યોગાભ્યાસમાં સાંકળી લેવાનું આયોજન રાજ્ય સરકાર દ્વાારા થયું હતું.

આ વર્ષે શાળા-મહાશાળાઓ, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, કોલેજીસ-યુનિવર્સિટી તેમજ પોલીટેકનીક, ઇજનેરી-ફાર્મસી કોલેજના યુવા છાત્રો, આઇ.ટી.આઇ. જેવી શૈક્ષણિક સંસ્થાઓ સહિત જી.આઇ.ડી.સી.ના ઊદ્યોગો પણ સ્વૈચ્છિક સંગઠનો અને સ્વયંભૂ નાગરિક સમુદાય સાથે યોગ સાધનામાં જોડાયાં હતાં.વ્યકિતના શારીરિક-માનસિક સ્વાસ્થ્ય-તંદુરસ્તીને ચુસ્તી-સ્ફૂર્તીથી તરબતર રાખતી યોગ સાધનાથી હ્વદયરોગની બિમારીઓ પણ દૂર થઇ શકે તે અંગેની જનજાગૃતિ માટે આ વર્ષે પાંચમાં વિશ્વ  યોગ દિવસની થીમ-વિષયવસ્તુ ‘‘યોગ ફોર હાર્ટ કેર’’ રાખવામાં આવી છે.

ભારતીય સંસ્કૃતિની પ્રાચીન ધરોહર સમા યોગને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સફળ પ્રયાસોથી વૈશ્વિક સ્વીકૃતિ મળી છે તેને હવે રાજ્યના પ્રવાસન-યાત્રાધામો અને ઐતિહાસિક મહત્તા ધરાવતા સ્થાનો સાથે જોડીને યોગ સહ પ્રવાસનને વેગ આપવાનો નવતર અભિગમ ગુજરાતે અપનાવ્યો છે.આ સંદર્ભમાં રાજ્યમાં વિવિધ ઐતિહાસિક, ધાર્મિક સ્થળો અને વ્યકિત વિશેષોના જન્મ સ્થળોએ પણ વિશ્વ યોગ દિવસની જનભાગીદારીથી ઉજવણી કરવામાં આવી હતી.રાજ્યમાં ૧પ૦ થી વધુ સ્થળોએ સામૂહિક યોગક્રિયા હાથ ધરાઈ હતી. મોઢેરા સૂર્યમંદિર, આદ્યશિકત ધામ અંબાજીનો ચાચર ચોક, દ્વાદશ જ્યોર્તિલીંગના પ્રથમ જ્યોતિલીંગ સોમનાથ, ભગવાન કૃષ્ણની નગરી દ્વારિકા, ઉપરાંત ડાકોર, શામળાજી, પાવાગઢ, સીદી સૈયદની જાળી, રાણકીવાવ, સરખેજ રોજા, લોથલ, પોરબંદર કીર્તિમંદિર, ઉદવાડા પારસી અગિયારી, અમૂલ ડેરી, મહાત્મા મંદિર સમીપે દાંડીકૂટિર, અક્ષરધામ, તૂલસી શ્યામ, કવિ કલાપીની જન્મભૂમિ, બૌધ ગુફાઓ તેમજ સાપૂતારા જેવા પ્રવાસન ધામોમાં પણ યોગ્ય અભ્યાસ તા. ર૧ મી જૂને સવારે જનસહયોગથી યોજાયો હતો.વિશ્વ યોગ દિવસનો રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ અમદાવાદના સરદાર પટેલ સ્ટેડીયમમાં રાજ્યપાલ ઓ. પી. કોહલી તેમ જ મુખ્યપ્રધાન વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં સવારે ૬ થી ૮ દરમિયાન યોજાયો હતો. અમદાવાદ મહાનગરના વિવિધ સ્વૈચ્છિક સંગઠનો, નાગરિકો-યોગ પ્રેમીઓ આ સામૂહિક યોગ અભ્યાસમાં જોડાયાં હતાં.

વિશ્વ યોગ દિવસની આ ઉજવણીમાં વડાપ્રધાન મોદીના પ્રેરણાદાયી સંબોધન-સંદેશનું પ્રસારણ સવારે ૬:૩૦ વાગ્યાથી રાજ્યભરમાં જિલ્લા-તાલુકા-નગર કક્ષાએ જે સામૂહિક યોગ અભ્યાસ સ્થળો પર વિડીયો લીંક મારફત પ્રસારિત કરવાની વ્યવસ્થાઓ પણ ગોઠવવામાં આવી હતી.સનાતન હિન્દુ ધર્મમાં પણ યોગ-પ્રાણાયમ સાધનાનું વિશેષ મહત્વ છે તેને વ્યાપક ઊજાગર કરવા વડાપ્રધાનની પ્રેરણાથી આ પાંચમાં વિશ્વ યોગ દિવસમાં વિવિધ ધર્મસંપ્રદાયના ૧૦૦૦ જેટલા સંતો-મહંતો-ધર્મગુરૂઓને પણ સામૂહિક યોગ અભ્યાસમાં સહભાગી કરવાના વિશિષ્ટ આયોજન થયું હતું.યોગ-પ્રાણાયામ થકી સૌ કોઇ એકાગ્રતા-એકતા-સામૂહિકતાથી શાંતિ-બંધુત્વ અને સમરસતાને ઊજાગર કરે છે.આ સમરસતા-એકતાને રાષ્ટ્રની અખંડિતતા ઐકયના પ્રતિક સરદાર સાહેબની સ્મૃતિ સાથે જોડીને સરદાર સાહેબની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ કેવડીયા ખાતે આ સાધુ-સંતો-મહંતો પણ સામૂહિક સાંધ્ય યોગ અભ્યાસમાં જોડાયાં હતાં.ગત વર્ષે ર૧મી જૂને ચોથા વિશ્વ  યોગ દિવસની ઉજવણીમાં ૧ કરોડ રપ લાખ લોકોએ સામૂહિક યોગાભ્યાસ કર્યો હતો. આ વર્ષે ૧ કરોડ પ૧ લાખથી વધુ લોકોને સામૂહિક યોગ સાધનામાં જોડવા માટે સમગ્ર વહીવટીતંત્ર અને જિલ્લા-નગરોના સત્તાતંત્રોએ સુદ્રઢ આયોજન કર્યુ છે. યોગ લોકોનો સ્વભાવ બને અને મહત્તમ લોકો યોગ સાધનામાં સ્વેચ્છાએ જોડાય તેવા સફળ પ્રયાસો સરકાર અને સહયોગી સંસ્થાઓએ હાથ ધર્યા છે.

તસવીર-પ્રજ્ઞેશ વ્યાસ