રેલવેના 2 લાખ 44 હજાર ખુદાબક્ષ મુસાફરો પાસે 10.96 કરોડનો દંડ વસૂલાયો

અમદાવાદ– પશ્ચિમ રેલવે દ્વારા ફેબ્રુઆરી 2018માં વગર ટિકીટે મુસાફરી કરી રહેલાં પ્રવાસીઓને ઝડપવા ઝૂંબેશ ચલાવવામાં આવી હતી.  જેમાં બૂક કર્યા વિના સામાનના તેમ જ ખુદાબક્ષ મુસાફરીના લગભગ 2 લાખ 44 હજાર કેસ પકડાયાં હતાં. આ કેસોમાં કુલ રુપિયા 10.96 કરોડ રુપિયા દંડ તરીકે વસૂલવામાં આવ્યાં હતાં. આ રકમ ગત વર્ષના આ સમયગાળા કરતાં 48.88 ટકા વધુ છે.

ફાઇલ તસવીર

આ ઝૂંબેશમાં ભીખારીઓ અને અનધિકૃત ફેરિયાઓને રેલ સંકુલની બહાર કાઢીને દંડ વસૂલવામાં આવ્યો હતો તેમ જ 95 વ્યક્તિઓને જેલભેગા કરવામાં આવ્યાં હતાં. પીઆરઓ રવીન્દ્ર ભાકરે જણાવ્યાં પ્રમાણે રેલવે દ્વારા કરાયેલી આ ઝૂંબેશમાં દલાલો અને અસામાજિક તત્વો વિરુદ્ધ 235 કેસમાં તપાસ કરવામાં આવી હતી જેમાં 182 વ્યક્તિઓને પકડીને રેલ અધિનિયમના કાયદાઓ પ્રમાણે દંડ વસૂલવામાં આવ્યો હતો. આ સમયગાળામાં સુરક્ષાદળ દ્વારા 12 વર્ષી વધુની ઉંમરના 49 વિદ્યાર્થીઓને મહિલા કોચમાં મુસાફરી કરતાં પકડી લઇ તેમને કોચમાંથી હટાવવામાં આવ્યાં હતાં.