“વાયુ” ની વિપત્તિને પહોંચી વળવા આટલી તૈયારીઓ સાથે સ્ટેન્ડબાય થયું તંત્ર

અમદાવાદઃ ગુજરાતમાં “વાયુ” વાવાઝોડાનું સંકટ ઝળૂંબી રહ્યું છે. અરબી સમુદ્રમાં સર્જાયેલું લો પ્રેશર ડીપ ડિપ્રેશન હવે વાવાઝોડામાં પરિવર્તિત થઈ ગયું છે. અત્યારે આ વાવાઝોડું ગોવા નજીક છે. ‘વાયુ’ 30થી 35 કિલોમીટરની ઝડપે આગળ વધી રહ્યું છે. મંગળવારે સવારે આ વાવાઝોડું વેરાવળથી 740 કિલોમીટર દૂર હતું, જે આગામી 24 કલાકમાં ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે. વાવાઝોડાને પગલે દરિયાકાંઠાના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે.

ત્યારે વાવાઝોડાની ગંભીરતાને ધ્યાને રાખતા તંત્ર પણ સતર્ક બની ગયું છે. પ્રભાવિત થવાની શક્યતા ધરાવતાં વિસ્તારોમાં 12 જૂનના રોજ શાળા અને કોલેજો બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓને સ્થળ પર રહેવા સૂચના આપવામાં આવી છે. તમામ બંદરો પર 2 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. વેરાવળમાં તંત્ર દ્વારા એક ખાસ કંટ્રોલ રુમ ઉભો કરવામાં આવ્યો છે. તો આ સાથે જ જિલ્લા કલેક્ટર દ્વારા તમામ સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

અમદાવાદ ફાયર વિભાગને સ્ટેન્ડ ટુના આદેશ આપવામાં આવ્યા છે. તો આ સાથે વાવાઝોડાને લઈને રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકાર પાસે પણ મદદ માંગવામાં આવી છે. તો એનડીઆરએફની ટીમ કચ્છ જવા રવાના થઈ ગઈ છે. ભાવનગર, અમરેલી, પ્રભાવિત જિલ્લા છે જ્યાં સુરક્ષા દળોને તહેનાત કરી દેવામાં આવ્યાં છે.

ત્યારે વાવાઝોડાની સંભવિત પરિસ્થિતિને ધ્યાને લઇને લોકોના જાનમાલની સલામતી અને સુરક્ષા માટે રાહત નિયામક દ્વારા વાવાઝોડા પહેલાં, વાવાઝોડા દરમિયાન, અને વાવાઝોડા બાદ કેવા પ્રકારના તકેદારીના પગલાં લેવા તે સંદર્ભે નાગરિકોને અનુરોધ કરાયો છે. આ તકેદારીના પગલાં અનુસાર વાવાઝોડાની સ્થિતિમાં સૌ પ્રથમ વાવાઝોડા પહેલાંની કેટલીક તૈયારીઓ કરવી આવશ્યક છે.

  • વાવાઝોડાં પહેલાંની તૈયારી

    • રહેઠાણની મજબૂતીની ખાતરી કરી લો અને બાંધકામને લગતી ક્ષતિઓ દૂર કરો.
    • સમાચારો અને ચેતવણીઓ સતત સાંભળતા રહો.
    • આપના રેડીયો સેટને ચાલુ હાલતમાં રાખો, ચકાસી લો.
    • સ્થાનિક અધિકારીઓના સતત સંપર્કમાં રહેવા પ્રયત્ન કરો.
    • ઢોરઢાંખરને ખૂંટાથી છૂટા કરી રાખો.
    • માછીમારોએ દરીયામાં જવું નહીં, બોટ સલામત સ્થળે લાંગરવી.
    • અગરીયાઓએ સલામત સ્થળે ખસી જવું.
    • આશ્રય લઈ શકાય તેવા ઉંચા સ્થળો ધ્યાનમાં રાખો.
    • સૂકો નાસ્તો, પાણી, ધાબળા, કપડાં અને પ્રાથમિક સારવારની કીટ સાથે રાખો.
    • અગત્ય ટેલીફોન નંબર હાથવગા રાખો.
  • વાવાઝોડાની સ્થિતિમાં…            

    • વાવાઝોડા દરમિયાન તકેદારીના પગલા:
    • જર્જરિત મકાન કે વૃક્ષ નીચે આશ્રય ન લેવા માટે સમજ આપવી.
    • રેડિયો પર સમાચાર સાંભળતા રહો અને સૂચનાઓનો અમલ કરો.
    • વાવાઝોડાં સમયે બહાર નીકળવાનું સાહસ કરવું નહીં.
    • વાવાઝોડાના સમયે રેલ મુસાફરી કે દરિયાઇ મુસાફરી હિતાવહ નથી.
    • વીજ પ્રવાહ તથા ગેસ કનેક્શન બંધ કરી દેવા સલાહ આપી આપવી.
    • દરિયા નજીક, ઝાડ નીચે કે વીજળીના થાંભલા કે લાઈનો નજીક ઊભા રહેશો નહીં.
    • વીજળીના થાંભલાથી દૂર રહેવા સલાહ આપવી.
    • માછીમારોને દરિયામાં જતા રોકવા અને હોડીઓ સલામત સ્થળે રાખવી.
    • અગરીયાઓ અગરો છોડી સલામત સ્થળે આશરો લેવો.
    • ખોટી અથવા અધૂરી જાણકારીવાળી માહિતી અર્થાત અફવા ફેલાવતી અટકાવો, આધારભૂત સૂચનાઓને અનુસરો.
  • વાવાઝોડા બાદ કરવાની કાર્યવાહી

    • બચાવ કામગીરી માટે ફાયર બ્રિગેડ, પોલીસ મ્યુનિસિપાલિટી કંટ્રોલરૂમ તથા તમામ અધિકારીઓની મદદ લેવી.
    • અસરગ્રસ્તોની મદદ કરવી બચાવ કરવો, સલામત સ્થળે લઈ જવા.
    • જરૂર પડે તબીબી સારવાર તાત્કાલીક મળી રહે તેવી વ્યવસ્થા કરવી.
    • ભારત સરકારશ્રીના હવામાન ખાતા તરફથી મળતી આગાહીઓ અને અનુસરવું તથા સતત સંપર્કમાં રહેવું.
    • અસરગ્રસ્તોને જરૂરી મદદ ઉપલબ્ધ કરાવવી.