શહીદવીરો પ્રત્યે ઋણ અદા કરવા 30મી જાન્યુઆરીએ થઈ જાવ તૈયાર

ગાંધીનગર- મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિન નિમિતે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં પોતાના પ્રાણનું બલિદાન આપ્યું છે તેવા શહીદોની સ્મૃતિમાં ૩૦મી જાન્યુઆરી,  સવારે 11 કલાકે બે મિનિટ મૌન પળાશે. સમગ્ર રાજયમાં શકય હોય તેટલા પ્રમાણમાં કામકાજની અને વાહનવ્યવહારની ગતિને આ બે મિનિટ દરમિયાન બંધ રાખવા ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જણાવાયું છે.

૩૦મી જાન્યુઆરી, ર૦૧૯ના રોજ સવારે ૧૦.પ૯ થી ૧૧.૦૦ કલાક સુધી સાયરન વગાડાશે. સાયરન બંધ થાય કે તુરંત જ જયાં કાર્ય કરતા હોય તેવા બધા જ સ્થળોએ કામ કરનાર સૌ પોતપોતાની જગ્યાએ શાંત ઉભા રહી, શકય હોય તો ભેગા મળી, મૌન પાળે. જયાં શકય હોય ત્યાં વર્કશોપ, કારખાના અને કચેરીઓનું કામકાજ બંધ રાખવામાં આવે. આકાશવાણી બે મિનિટ પોતાના કાર્યક્રમ બંધ રાખે અને રસ્તાઓ પરના વાહનવ્યવહાર શકય હોય ત્યાં સુધી થોભે તે અંગે સરકાર દ્વારા વિનંતી કરવામાં આવી છે. સાથે સાથે ૧૧.૦૦ વાગે ઉપડતી ટ્રેનો અને વિમાનોને તેમના મથકે બે મિનિટ માટે થોભે તે માટે જોવા પણ વિનંતી કરાઇ છે.

મૌનનો સમય પૂરો થયો છે એમ બતાવવા ૧૧.૦ર થી ૧૧.૦૩ કલાક સુધી ફરીથી સાયરન વાગશે, ત્યારે રાબેતા મુજબનું કામકાજ ફરીથી શરૂ કરવું. જે સ્થળોએ સાયરન અથવા અન્ય કોઇ સંકેતની વ્યવસ્થા નથી ત્યાં સવારે ૧૧.૦૦ કલાકે બે મિનિટ મૌન પાળવા માટે સંબંધિતોને જાણ કરતા આદેશો તમામ સંબંધિત કચેરીઓએ બહાર પાડવાના રહેશે.

ઉલ્લેખનીય છે કે, ગાંધીનગરમાં પણ સાયરનની વ્યવસ્થા કરવામાં આવી છે તે મુજબ સચિવાલય, સરકીટ હાઉસ, પ્રેસ, વિધાનસભા-સચિવાલય અને પાટનગર યોજના ભવન ઉપર સાયરનો મુકવામાં આવી છે તે સાયરનો પણ નિર્દિષ્ટ સમયે વગાડવામાં આવશે.