ગીર રેન્જમાં સિંહોમાં વાઈરસનો ફેલાવો સરકાર છુપાવી કેમ રહી છે, મૃત્યુઆંક 23 પર

ઉનાઃ ગીર પંથકના દલખાણિયા રેન્જમાં જીવલેણ બીમારીના ભોગ બનેલા 21 સિંહોના મોત બાદ વનતંત્ર અને સરકાર સિંહોની સુરક્ષા પાછળ દોડતી હોય તેમ ગીરના જંગલના તમામ વિસ્તારોના સિંહોને રેસ્ક્યુ કરીને જશાધાર જામવાળા એનિમલ કેરસેન્ટરમાં લાવી તપાસ કરવામાં આવી રહી છે. ગત તા.28 ના રોજ જામવાળા એનિમલ કેરસેન્ટરમાં 28 સિંહોને રખાયા હતાં અને જશાધાર એનિમલ કેરસેન્ટરમાં 7 સિંહોને રાખવામાં આવ્યા હતા. તેમાં બે સિંહણનાં મોત બાદ સિંહોને બચાવવા તેના પર તબીબોની ટીમ ખાસ નજર રાખી રહી છે.

ત્યારે વધુ 2 સિંહોને મંગળવારે જામવાળા એનિમલ કેરસેન્ટરમાં લાવવામાં આવતા કુલ સિંહોની સંખ્યા 30 ઉપર પહોચી ગઇ છે. આ સેન્ટર હાઉસફુલ થઇ ગયંુ છે. તેમજ દિલ્હીની નિષ્ણાંત તબીબોની ટીમ પણ જામવાળા ખાતે આવી પહોચી છે. અને સિંહોની સારવાર કરી રહી છે.

ગીરમાંથી જેમ જેમ સિંહોને રેસ્ક્યુ કરી લાવી રહ્યા છે. અને સંખ્યાને ધ્યાનમાં રાખીને એનિમલ કેરસેન્ટર ટુંકુ પડતા હવે પછી વધારાના તમામ સિંહોને સાસણ ખાતે આવેલ ગીર નેશનલ પાર્ક ખાતે ખસેડવામાં આવશે. વધુ જાણવા મળતી વિગત મુજબ દલખાણીયા રેન્જનાં 21 સિંહોના મોત નિપજ્યા હોવાના વનવિભાગની પુષ્ટી બાદ 5 સિંહો દલખાણીયા રેન્જના ઊના તાલુકાના જશાધાર એનિમલ કેરસેન્ટરમાં નિષ્ણાંત તબીબોની દેખરેખ હેઠળ સારવાર ચાલી રહી હતી.

તે પૈકી વધુ 2 સિંહોના મોત નિપજેલ હોવાના અહેવાલો વનતંત્રમાંથી મળી રહ્યા છે. આમ ગીરના સિંહોના મોતનો આંકડો 23 ઉપર પહોચતા ભારે ખળભળાટ મચી ગયો છે.