26 સપ્ટેમ્બર સુધીમાં રાજ્યમાંથી ચોમાસું વિદાય લે એવી શક્યતા

ગાંધીનગરઃ રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસામાં અત્યાર સુધીમાં ૧૧૭ ટકા વરસાદ થયો છે. જેમાં ૨૫ જિલ્લાઓમાં ૧૦૦ ટકાથી વધુ વરસાદ તેમજ  રાજ્યના તમામ તાલુકાઓમાં ૧૦ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. છેલ્લા ૩૦ વર્ષમાં આ નવમું વર્ષ છે કે જેમાં ૯૫૧થી વધુ  મી.મી. વરસાદ થયો છે. ગત વર્ષ-૨૦૧૮માં આ સમયે ગુજરાતમાં ૭૬.૭૩ ટકા વરસાદ નોંધાયો હતો. અત્યાર સુધીમાં રાજ્યમાં ૮૪.૪૩ લાખ હેક્ટર વિસ્તારમાં ખરિફ વાવેતર થયું છે. સરદાર સરોવર ડેમની સપાટી ૧૩૬.૮૪ મીટર પર પહોંચી છે.

ગાંધીનગર ખાતે વેધર વૉચ ગ્રુપની બેઠક મળી હતી જેમાં રાહત કમિશનર અને સચિવ કે. ડી. કાપડિયાએ આ માહિતી આપી હતી.

ભારતીય હવામાન વિભાગના હવામાનશાસ્ત્રી જયંત સરકારે જણાવ્યું કે, એન્ટી સાયકલોનિક સર્ક્યુલેશનને પરિણામે આગામી બે-ત્રણ દિવસમાં સૌરાષ્ટ્રના દરિયા કિનારાના જિલ્લાઓમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. આ ઉપરાંત દક્ષિણ-મધ્ય ગુજરાત સહિત દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર જિલ્લાઓમાં પણ વરસાદ થશે.

જો કે, આગામી સંભવિત ૨૬ સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતમાંથી ચોમાસું વિદાય લેશે. સમગ્ર દેશમાં ૧ જૂન થી ૧૦ સપ્ટેમ્બર ૨૦૧૯ સુધીમાં ગુજરાતમાં ૨૦ ટકા તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છ રીજિયનમાં ૪૪ ટકા વધુ વરસાદ થયો છે. પશ્ચિમ મધ્યપ્રદેશમાં વધુ વરસાદ થવાથી નર્મદા નદીમાં પાણીની આવક વધશે. સમગ્ર દેશમાં અત્યાર સુધીમાં ગત વર્ષની સરખામણીએ ૩ ટકા વધુ વરસાદ થયો છે.

 

નર્મદા ડેમની સપાટી વધતા નર્મદાનું વધારાનું પાણી  સાબરમતી, બનાસ, પુષ્પાવતી અને રૂપેણ  નદીમાં છોડવામાં આવી રહ્યું છે.

વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા વલસાડ, ઓલપાડ, રાજકોટ, ગીર સોમનાથ, પાટણ, લુણાવાડા, અને દાહોદમાં ૧-૧, ભરૂચ અને ગાંધીનગરમાં ૨-૨ તેમજ વાઘોડિયામાં ૪ ટીમ એમ એનડીઆરએફીની કુલ ૧૫ ટીમ તહેનાત કરવામાં આવી છે.