મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપી દિવાળી, નૂતન વર્ષની શુભેચ્છા

અમદાવાદ – ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતના નાગરિકો તથા દેશ-વિદેશમાં વસતા ગુજરાતી પરિવારોને દિપાવલી પર્વ અને નવા વિક્રમ સંવત વર્ષ-2076ની શુભેચ્છા આપી છે.

તેમણે આ ઉમંગ પર્વની શુભકામના આપતા જણાવ્યું છે કે, આ પર્વો-ઉત્સવો-તહેવારો ઉમંગ ઉલ્લાસની સાથોસાથ નવી તાજગી-નૂતન ચેતનાનો સમાજ જીવનમાં સંચાર કરતા હોય છે. એમાંય દિપાવલીનું પર્વ તો અંધકારથી પ્રકાશ-ઊજાસ તરફનું પ્રયાણ પર્વ છે.

અંતરમનના તિમીર દૂર કરી સુખ-સમૃધ્ધિ-વિકાસના ઓજ-તેજ પ્રત્યેક ગુજરાતીના જીવનમાં
આ પર્વ પ્રગટાવે તેવી હૃદયપૂર્વકની મંગલ કામના તેમણે સૌને પાઠવી છે.

ગુજરાતના સૌ નાગરિકોને દિપાવલી પર્વ અને નૂતન વર્ષની તેમના અને તેમના મંત્રીમંડળ તરફથી શુભેચ્છા પાઠવતા મુખ્યમંત્રીએ કહ્યું કે, ગુજરાતીઓ માટે તો દિપાવલીનું આ પ્રકાશ પર્વ અને તે પછીના દિવસે શરૂ થતું વિક્રમ સંવતનું નૂતન વર્ષ નવા સંકલ્પો-વિકાસપથ પર ગતિ-પ્રગતિના નિર્ધારનું પર્વ પણ છે.

વિક્રમ સંવતના આ નૂતન વર્ષે ગુજરાતના ખૂણે-ખૂણે વિકાસના અજવાળા દૈદીપ્યમાન બનાવવાનો સંકલ્પ જનસહયોગ, રાજકીય ઇચ્છાશકિત અને સાતત્યપૂર્ણ પ્રશાસનની ત્રિવેણીથી આપણે સૌ કરીએ અને ‘‘સૌના સાથ સૌના વિકાસ’’ના મંત્રને આત્મસાત કરી આ નૂતન વર્ષે દરિદ્રનારાયણ, ગરીબ-વંચિત-છેવાડાના માનવી સહિત સમાજ સમસ્તના દસેય દિશાના વિકાસ માટે સાથે મળી પ્રતિબદ્ધ બનીએ એવી અભ્યર્થના તેમણે વ્યક્ત કરી છે.

જન-જનમાં વિકાસના વિશ્વાસની દીપ શિખા પ્રગટાવીને મા ભારતીને વિશ્વગુરૂ બનાવવામાં તન-મન-ધનથી સંપૂર્ણ સહયોગ કરીયે એ જ આપણા સૌનો નૂતન વર્ષનો સહિયારો સંકલ્પ હોય તેમ જણાવતા મુખ્ય મંત્રીએ સૌને દિવાળી અને નૂતન વર્ષની અંતઃકરણની શુભેચ્છા પાઠવી છે.