યાત્રાધામ વિકાસ બોર્ડમાં કૌભાંડની તપાસ હવે વિજિલન્સ કમિશનરના હાથમાં

ગાંધીનગર- ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના તત્કાલિન સચીવ અનિલ પટેલે રાજ્યના યાત્રાધામો પાવાગઢ, રામેશ્વર, બહુચરાજી અને શબરીધામ તથા દ્વારકાના પ્રોજેકટમાં ગેરરીતિ થઈ હોવા અંગે એક ખાનગી વ્યકિત સાથે ટેલિફોનિક વાતચીતમાં કરેલા આક્ષેપોની ટ્રાન્સસ્ક્રીપ્ટ અને તે સંદર્ભે તે વ્યકિત દ્વારા ACBને કરવામાં આવેલી સીધી અરજીની વિગતો ધ્યાને લેતાં રાજ્ય સરકારે આક્ષેપોની ફરિયાદની તપાસ રાજ્યના વિજિલન્સ કમિશનરને સોંપવાનો નિર્ણય કર્યો છે.

વિજય રૂપાણીએ વિજીલન્સ કમિશનરને આ બાબતનો પ્રાથમિક તપાસ અહેવાલ સત્વરે રજૂ કરવાની સૂચના આપતાં એમ પણ સૂચવ્યું છે કે, આ સમગ્ર આક્ષેપોમાં જો સત્યતા જણાય અને ગેરરીતિ થયાનું જણાય તો ત્વરાએ સંબંધિત કસૂરવારો સામે શિક્ષાત્મક પગલાં ભરવામાં આવે.

સરકારે જણાવ્યું હતું કે અનિલ પટેલે સરકારી અધિકારીને ન છાજે તેવું વર્તન કરીને ગુજરાત રાજય સેવા વર્તણૂંક નિયમો ૧૯૭૧ના નિયમ-૯ ‘સરકારની ટીકા’ના નિયમ અન્વયે ‘‘કેન્દ્ર અથવા રાજ્ય સરકારની કોઇપણ પ્રવર્તમાન કે તાજેતરની નીતિ અથવા પગલાંની પ્રતિકૂળ ટીકારૂપ નીવડનારી કોઇ હકીકત કે મંતવ્ય અંગે કોઇ નિવેદન કરી શકે નહિ’’ તેનો ભંગ કર્યો છે.

એટલું જ નહિ, માહિતી પૂરી પાડવાનો પોતાને અધિકાર ન હોય એવા કોઇ સરકારી કર્મચારીને અથવા બીજી કોઇ વ્યકિતને સીધી યા આડકતરી રીતે માહિતી પૂરી પાડી શકાશે નહિ તેવા નિયમ-૧૦ નો પણ ભંગ તેમણે કર્યો છે. આ ઉપરાંત અનિલ પટેલ સાયન્સ ટેકનોલોજી વિભાગના ર૯-૧૧-ર૦૧૮ના પરિપત્રનો પણ ભંગ કર્યો છે.

મુખ્યપ્રધાને અનિલ પટેલની આ પ્રકારની ગંભીર ગેરવર્તણૂંક તેમજ ગંભીર ગેરશિસ્તને પગલે તેમને તાત્કાલિક અસરથી ફરજમોકૂફી નીચે મૂકવાનો પણ નિર્ણય કર્યો છે.

રૂપાણીએ અનિલ પટેલને તેમની પ્રવર્તમાન અધિક સચિવ પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામવિકાસ વિભાગ ગાંધીનગરની જગ્યાએથી ફરજમોકૂફી દરમિયાન સ્પીપા રાજકોટ ખાતે નિમણૂકનું સ્થળ રાખવા અને તેમની હાજરીનું નિયમિત મોનિટરીંગ થાય તે માટે પણ પ્રબંધ કરવા સૂચનાઓ આપી છે.