સ્ટેચ્યુ ઓફ યુનિટીના આંગણે રંગબેરંગી પુષ્પોની સુંદરતાઃ ‘વેલી ઑફ ફ્લાવર્સ’

નર્મદાઃ સ્ટેચ્યુ ઓફ યુનિટીની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીના આકર્ષણનું એક કેન્દ્ર વેલી ઓફ ફ્લાવર્સ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની બન્ને તરફ નર્મદા નદીના કિનારે ૧૭ કી.મી. વિસ્તારને વિવિધ પ્રજાતિના રંગબેરંગી ફુલોથી ખુશનુમા બનાવવાનો આ પ્રોજેક્ટ ફુલોની વૈશ્વિક પ્રજાતિ સાથે આપણા પરંપરાગત ફુલોના સૌંદર્યને પણ રજૂ કરે છે. આ પ્રોજેકટ અંતર્ગત ઉંચાઇ ધરાવતા વૃક્ષોના ફુલોની જાત પૈકી ગરમાળો, ચંપો, ખાખરો, પોંગારો, છોડની જાત પૈકી ગલતોરા, ટેકોમા,  બોગનવેલીયા, નેરીયમ તેમજ વેલાની જાતો પૈકી કવોલીસીસ, વડેલીયા, આલામન્ડા કેર્થટીકા અને વાંસ તથા ઘાસની રંગીન પ્રજાતિ ઉપરાંત બારમાસી ફુલો જેવા કે ગલગોટા, કેન્ડુલા, સુર્યમુખી તેમજ વીન્કા જેવા વિવિધ રંગના ફુલો ધરાવતા ૧૦૦થી વધુ પ્રજાતિના વૃક્ષો, વેલા, ઘાસ તથા ધરૂનુ વાવેતર કરવામાં આવ્યું છે.

પ્રાથમિક તબકકે વેલી ઓફ ફલાવર્સમાં વિવિધ રંગના ફુલોના વાવેતર હેઠળ ૨૫૦ હેકટર વિસ્તારને આવરી લેવાનું આયોજન હાથ ધરાયું છે. ત્યારબાદ તબકકાવાર તેમાં વધારો કરીને ૩૦૦૦ હેકટર સુધી વિસ્તાર કરાશે. આ વેલી ઑફ ફ્લાવર્સની વિશેષતા એ છે કે ૩૨,૫૦૦ ચો.મી.નો વિસ્તાર ટપક સિંચાઈ હેઠળ આવરી લેવાયો છે. અહીં કમળ અને પોયણીઓથી સુશોભિત બે સુંદર તળાવો પણ બનાવાયા છે.

વેલી ઑફ ફ્લાવર્સની મુલાકાતે આવનાર પ્રવાસીઓ કુદરત સાથે નૈસર્ગિક તાલમેલ સાધી શકે તથા તેઓનું વન અને વન્યજીવો પ્રત્યે તાદતમ્ય કેળવાય તે ઉમદા હેતુસર નેચરલ ટ્રેઇલ સ્વરૂપે રેવા ટ્રેક, સાધુ ટ્રેક, વૈકુંઠ બાબા ટ્રેક, સરદાર ટ્રેક અને અશ્વત્થામા ટ્રેકનું પણ નિર્માણ કરાયું છે.

પ્રવાસીઓ સાથે સંવાદ સાધતા બગીચાનું પણ અહીં નિર્માણ કરાયું છે, જેમાં એડવેન્ચર પાર્ક, ગાર્ડન ઓફ ફાઈવ સેન્સ, સેલ્ફી વીથ સ્ટેચ્યુ, સરદાર ગાર્ડન વિશેષ ભાત પાડે છે. વેલી ઑફ ફ્લાવર્સ કુદરતના ઈન્દ્રધનુષી રંગોને ફુલોની નજાકત સાથે પ્રદર્શિત કરીને પ્રવાસીને અલૌકિક આનંદ આપનારી બની રહેશે.