વડોદરાના પરિવારે ભાટ ગામ પાસે કારમાં ઝેર ખાઇ આત્મહત્યા કરી

વડોદરા– આજકાલ સંજોગોની ભીંસ હોય કે અન્ય કારણ, પરંતુ પરિવાર સાગમટે મોતને ભેટવાના બનાવો સતત સામે આવી રહ્યાં છે. કોઇ સમસ્યાનો આરોઓવારો ન દેખાય ત્યાં અંતિમ પગલું ભરી લેતાં પરિવારમાં વડોદરાના એક પરિવારે કરુણ ઘટનાને અંજામ આપ્યો છે. મકરપુરાના ત્રિવેદી પરિવારના માતાપિતા અને પુત્રએ કારમાં બેસીને સાગમટે ઝેર ખાઈને આત્મહત્યા કરી છે.

પાવાગઢ-શિવરાજપુર રોડ પરના ભાટ ગામ પાસે એક કારમાં બેસીને આ પરિવારે અંતિમ પગલું ઉઠાવ્યું હતું. મકરપુરાની ચિત્રકૂટ સોસાયટીમાં રહેતાં અને કલરનો વ્યવસાય ધરાવતાં વિક્રમકુમાર અરવિંદકાંત ત્રિવેદી, તેમનાં પત્ની હીનાબહેન અને પુત્ર હરનીલ ગતરાત્રે વડોદરાથી નીકળ્યાં હતાં. પાવાગઢ-શિવરાજપુર રોડ પરના ભાટ ગામે પહોંચીને ત્રણેયે કારમાં જ કોઇ ઝેરી પદાર્થ પી લીધો હતો. કારમાં મૃતદેહોને જોઇને કોઇ વ્યક્તિએ પોલિસને જાણ કરતાં પાવાગઢ પોલિસ દોડી ગઇ હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યાં હતાં. પરિવારજનોને જાણ કરવા સાથે પોલિસે આઘળની તપાસ હાથ ધરી છે.