વડનગરમાં મળી 15મી સદીની શેરી

મહેસાણા- ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ શાખાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગરના ઘરની પાસેની એક શેરીના ખોદકામમાં સલ્તનતકાળનો વારસો જડી આવ્યો છે.

એએસઆઈ ટીમના અધિકારીના જણાવ્યાં પ્રમાણે વડનગરની ચાર જગ્યાઓ પર ખોદકામ ચાલી રહ્યું છે જેમાં એક બ્રાહ્મણ શેરી છે. આ શેરી પીએમ મોદીના પૈતૃક નિવાસ સ્થાનની નજીકમાં જ છે. હાલ ખોદકામ  8 મીટર ઊંડે સુધી પહોંચી ગયું છે. દરમિયાન 6.3 મીટરના ઊંડાણે ખોદકામ થયું ત્યારે ઇંટોની બનેલી આખી કેડી મળી આવી હતી.

એએસઆઈના ખોદકામ વિભાગ દ્વારા આ પ્રાચીન શહેરનું ખોદકામ ચાલી રહ્યું છે. આ દરમિયાન 15મી સદીની એક એવી શેરી મળી આવી છે જે પાકી ઇંટોની બનેલી છે. ખોદકામના આધારે જણાવાઇ રહ્યું છે કે આ જગ્યાએ પહેલાં મોટી સડક હોઇ શકે છે.

આશા જતાવવામાં આવી રહી છે કે વધુ ખોદકામ કરાય તો આનાથી પણ વધુ પહોળો રસ્તો મળી શકે છે પરંતુ ખોદકામ માટે હવે જગ્યા નથી.

સંભવ છે કે 15મી સદીમાં થયેલાં નિર્માણો દરમિયાન અહીંની મોટી સડકને પાતળી કેડીમાં ફેરવી નાંખી હોઇ શકે છે.

ઇંટોની બનેલી કેડીની નીચે ખોદકામમાં જુદાજુદા રંગોની કાંચની બંગડીઓ, પોલિશ્ડ કરેલાં મોતી, કીમતી પથ્થરો અને કાચની અન્ય ચીજો મળી છે. આ ચીજો સલ્તનતકાલ અથવા સોલંકીકાળ સાથે સંબંધિત છે.