કમલેશ તિવારી મર્ડર કેસ મામલે ગુજરાત એ.ટી.એસને મોટી સફળતા

અમદાવાદઃ કમલેશ તિવારી હત્યા કેસ મામલે ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે. ગુજરાત એટીએસ દ્વારા શામળાજી પાસેથી બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત એટીએસના ડીઆઈજી હિમાંશુ શુક્લાએ કહ્યું કે, મંગળવારે સાંજે બંન્ને લોકો ગુજરાત બોર્ડરમાં પ્રવેશ કરવા જઈ રહ્યા હતા. તેમણે તેમની મૂવમેન્ટ પર બાજ નજર રાખીને બંન્નેની સ્થીતી મામલે માહિતી મેળવી. ભાગ્યા બાદ બંન્ને લોકોએ પોતાના પરિવારના સભ્યો અને મિત્રોનો સંપર્ક કર્યો હતો. બંન્ને લોકોને ઉત્તર પ્રદેશ પ્રદેશ પોલીસને સોંપવામાં આવશે. ઉત્તર પ્રદેશ પોલીસ તિવારીની હત્યા મામલે તપાસમાં લાગી છે.

ઉલ્લેખનીય છે કે પહેલા હિંદૂ મહાસભા સાથે જોડાયેલા રહી ચૂકેલા તિવારી હિંદૂ સમાજ પાર્ટીના અધ્યક્ષ હતા. લખનઉના નાકા હિંડોલા વિસ્તારમાં સ્થિત તેમના ઘરમાં હત્યારાઓએ તેમની હત્યા કરી દીધી હતી. આ મામલે સૂરતના ત્રણ અને મહારાષ્ટ્રના નાગપુરમાં એક વ્યક્તિ સહિત કુલ છ લોકોની અત્યારસુધીમાં ધરપકડ કરવામાં આવી છે.

ઉત્તર પ્રદેશના લખનઉમાં હિંદૂ સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ કમલેશ તિવારીની હત્યાના મુખ્ય આરોપી અશફાક અને મોઈનુદ્દીનને ગુજરાત એટીએસ દ્વારા પકડવામાં આવ્યા હતા. રાજસ્થાન બોર્ડર પરથી ગુજરાતમાં પ્રવેશ કરતા પહેલા જ પોલીસે બંન્નેની ધરપકડ કરી છે. આ લોકોને અત્યારે અમદાવાદ એટીએસ કાર્યાલયમાં લાવવામાં આવ્યા છે.