સૂરતઃ આ સાધન વહેલું આવ્યું હોત તો બાળકો બચી ગયાં હોત…

સૂરતઃ સૂરતમાં 55 મીટર સુધી જઈ શકે તેવું ટર્ન ટેબલ લેડર લાવવામાં આવ્યું છે. આ ટર્ન ટેબલ લેડર એક અઠવાડીયા પહેલાથી જ મુંબઈ પોર્ટ પર પડી રહ્યું હતું. કેટલીક જરુરી કાયદાકીય પ્રક્રિયા બાદ આ લેડરને 1 જૂન સુધીમાં સૂરત લાવવાનું હતું. સરથાણામાં બનેલી દુર્ઘટના બાદ તેને તાત્કાલિક સૂરત લાવવામાં આવ્યું છે.

મહત્વની વાત એ છે કે સૂરતના ફાયર વિભાગ દ્વારા આ ટર્ન ટેબલ લેડરનો ઓર્ડર એક વર્ષ પહેલા જર્મનીને આપવામાં આવ્યો હતો. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રેસ્કયુ માટે મંગાવવામાં આવેલા આ ટર્ન ટેબલ લેડરનો ઓર્ડર જર્મન કંપની માગીરસને નવેમ્બર-2017માં આપવામાં આવ્યો હતો. માર્ચ 2019માં આ સાધનની ચકાસણી કર્યા બાદ સૂરત રવાના કરવામાં આવ્યું હતું.

આ ટર્ન ટેબલ લેડરની કીંમત 8 કરોડ રુપિયા છે અને આની સાથે રેસ્ક્યુ લિફ્ટ પણ છે. આની ખાસીયત એ છે કે આ સીડીને જરૂરિયાત પ્રમાણે 360 ડિગ્રી ફેરવી શકાય છે. આ ટર્ન ટેબલ લેડર 55 મીટર ઉંચાઇ સુધી જઇ બચાવ કામગીરી કરી શકે છે. જોકે, આ સાધન તક્ષશિલા દુર્ઘટના બાદ સુરત આવ્યું છે. જો આ સાધન વહેલું સૂરત આવ્યું હોત તો તક્ષશિલાની દુર્ઘટનામાં હોમાયેલા બાળકોના જીવ બચી જાત.