અમદાવાદમાં ‘ટ્રાવેલ અને ટુરિઝમ ફેર’, 19 ટુરિઝમ બોર્ડ અને 6 દેશ જોડાયાં

અમદાવાદ-તહેવારોની મોસમ નજીક આવી રહી છે ત્યારે અમદાવાદ વધુ એકવાર ગુજરાત યુનિવર્સિટી એક્ઝીબીશન હોલમાં પ્રસિધ્ધ ટ્રાવેલ અને ટુરિઝમ ફેર શરુ થયો છે. આ ટ્રાવેલ ટ્રેડ શો ભારતનો સૌથી જૂનો અને અનોખો ટ્રાવેલ કાર્નિવલ છે, જે  વર્ષ 2017ની તુલનામાં 25 ટકા મોટો છે અને રાજ્યના પ્રવાસન ચાહકોને અગાઉ કરતાં વધુ તકો પૂરી પાડશે.

ટીટીએફ અમદાવાદ એક્ઝીબીટર્સમાં ખૂબ જ લોકપ્રિય રહ્યો છે અને તેમાં અભૂતપૂર્વ વૃદ્ધિ થઈ રહી છે. 660 એક્ઝીબીટર્સ તેમના ઉત્તમ ટુરિઝમ વિકલ્પો આ ત્રણ દિવસના પ્રદર્શનમાં રજૂ કરશે. 19 સ્ટેટ ટુરિઝમ બોર્ડ અને 6 દેશોએ આ ઈવેન્ટમાં ભાગ લીધો છે.

ગુજરાતમાં પ્રવાસીઓની સંખ્યા વધી છે. 2016માં 38.3 મિલિયન પ્રવાસીઓથી વધીને 2017માં પ્રવાસીઓની સંખ્યા 44.8 મિલિયન થઈ છે. વધુમાં ગુજરાતની જીડીપીમાં ટુરિઝમનું પ્રદાન 2015માં 5 ટકા હતું તે વર્ષ 2020 સુધીમાં વધીને 8.2 ટકા અને વર્ષ 2022 સુધીમાં 10.2 ટકા થવાની સંભાવના છે.

આ પ્રદર્શનમાં ભારતમાં પ્રવાસનની અદ્દભૂત ક્ષમતા દર્શાવવા સાથે બાયર્સ અને એક્ઝીબીટર્સ વચ્ચે બિઝનેસ, સહયોગ અને નેટવર્કિંગની તક રહેશે. આ વર્ષે જે વિદેશના સ્થળો રજૂ કરાયા છે તેમાં બહેરીન, ચીન, ભારત, કોરિયા, નેપાળ, શ્રીલંકા અને દેશના સ્થળોમાં પશ્ચિમ બંગાળ, જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, ઓડીશા, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, તામિલનાડુ, કેરાલા, બિહાર, આંદામાન-નિકોબાર, ગોવા, મેઘાલય, મિઝોરમ, સિક્કીમ અને ગુજરાત જેવા રાજ્યો પ્રવાસીઓને આકર્ષશે.

ટીટીએફ અમદાવાદમાં જે અન્ય દેશો સામેલ થનાર છે તેમાં આઝારબૈજાન, ભૂતાન, જર્મની, ઈન્ડોનેશિયા, જાપાન, કઝાખીસ્તાન, મલેશિયા, માલદિવ્ઝ, મોરેશ્યસ, રશિયા, સિંગાપુર, થાઈલેન્ડ, યુએઈ, યુક્રેન, ઉઝબેકિસ્તાન અને વિયેતનામનો સમાવેશ થાય છે.

આ સમારંભને ટ્રાવેલ ટ્રેડમાં સહયોગી તરીકે ઈનક્રેડિબલ ઈન્ડિયા, ટ્રાવેલ એજન્ટસ એસોસિએશન ઓફ ઈન્ડિયા (TAAI), આઉટબાઉન્ડ ટુર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (OTOAI), એસોસિએશન ઓફ ડોમેસ્ટીક ટુર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (ADTOI), એડવેન્ચર ટુર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (ATOAI),ઇન્ડિયન એસોસિએશન ઓફટુર ઓપરેટર્સ (IATO),ધIATA એજન્ટ્સએસોસિએશન ઓફ ઈન્ડિયા(IAAI),સ્કાલ ઈન્ટરનેશનલ, એન્ટરપ્રાઈઝીંગ ટ્રાવેલ એજન્ટસ એસોસિએશન (ETAA) તથા અન્યનો સમાવેશ થાય છે. ટ્રાવેલ અને ટ્રેડના સમન્વય દ્વારા આ વર્ષે નવી સિદ્ધિ હાંસલ થાય તેવી અપેક્ષા છે.

આ ફેર યોજવાનો મુખ્ય હેતુ ભારતમાં પ્રવાસે આવતા પ્રવાસીઓની સંખ્યામાં વધારો કરીને ટુરિઝમ ઉદ્યોગની કંપનીઓ માટે વધુ વેચાણની તકો ઉભી કરવાનો છે અને તમામ સહયોગીઓને સાથે લઈને આ ક્ષેત્રની નીતિઓ વિસ્તારવાનો છે. આ સમારંભ દ્વારા વિદેશી કંપનીઓ સ્થાનિક કંપનીઓ સાથે સમન્વય કરીને પોતાની કામગીરી વિસ્તારી શકશે. ટીટીએફને ભારત સરકારના પ્રવાસન મંત્રાલયનો સહયોગ પ્રાપ્ત થયો છે. તે દર વર્ષે 9 બજારોને આવરી લે છે, જેમાં દિલ્હી,મુંબઈ, કોલકતા, બેંગ્લોર, ચેન્નાઈ, અમદાવાદ, હૈદ્રાબાદ, સૂરત અને પૂનાનો સમાવેશ થાય છે.

7 અને 8ના રોજ ટ્રાવેલ ટ્રેડ માટે અનામત છે અને 9તારીખે જનરલ વિઝીટર્સ માટે ઓપન રહેશે.

ટીટીએફ અમદાવાદ પછી તરત જ તા.14 થી 16 સપ્ટેમ્બર સૂરતમાં પંડિત દિનદયાળ ઈનડોર સ્ટેડિયમ ખાતે આયોજન કરાશે. ત્યાર પછી તા.28 થી 30 સપ્ટેમ્બર, પૂનામાં ટીટીએફ યોજાશે. તા.5 થી 7 ઓક્ટોબર દરમ્યાન મુંબઈ ટીટીએફ યોજાશે. 2019માં ફેબ્રુઆરી 8 થી 10 સુધી ચેન્નાઈમાં ટીટીએફ યોજાશે અને ફેબ્રુઆરી 15 થી 17 સુધી બેંગ્લોરમાં ટીટીએફ યોજાશે.