ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાના આગમન પહેલાં જ વરસાદી માહોલે જોર પકડ્યું છે. અરબી સમુદ્રમાં સક્રિય અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે રાજ્યમાં કમોસમી વરસાદની સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગે આગામી 28 મે સુધી ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે, જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં 50-70 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન અને મેઘગર્જના સાથે ભારે વરસાદની શક્યતાને પગલે યલો ઍલર્ટ જાહેર કરાયું છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઍલર્ટવાળા જિલ્લાઓના વહીવટી તંત્રને 24×7 કંટ્રોલ રૂમ શરૂ કરી સતર્ક રહેવા આદેશ આપ્યા છે.
આજે, ગુરુવારે (22 મે), જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહીને પગલે યલો ઍલર્ટ જાહેર કરાયું છે. 23થી 25 મે દરમિયાન રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, તાપી, નર્મદા, નવસારી, ડાંગ અને વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે. 26 મેના રોજ 15 જિલ્લાઓ, જેમાં રાજકોટ, પોરબંદર, આણંદ, છોટા ઉદેપુર સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે, ત્યાં યલો ઍલર્ટ યથાવત રહેશે. 27 અને 28 મેના રોજ દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી, ડાંગ, તાપી અને વલસાડમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે.
આ વરસાદી સિસ્ટમ ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર અને દક્ષિણ ગુજરાતના કાંઠે સક્રિય સાયક્લોનિક સર્ક્યુલેશન તેમજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે તીવ્ર બની છે. આ સિસ્ટમો દેશભરમાં કમોસમી વરસાદનું જોર યથાવત રાખી રહી છે. મુખ્યમંત્રીએ વહીવટી તંત્રને આફત વ્યવસ્થાપન માટે તૈયાર રહેવા અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા સૂચના આપી છે.
