અધિકારીનું આ કામ બિરદાવવા લાયક, જૂનાગઢનું તળાવ બન્યું ઉદાહરણરુપ

જૂનાગઢ- સત્તામાં રહેલાં શાસક હોય કે વહીવટીતંત્રમાં રહેલા અધિકારીઓ, એ બધાં કેવું કામ કરે છે એની તપાસ કરવાને બદલે એની ટીકાના કરવામાં જ ઘણાંને વધારે રસ પડતો હોય છે. જોકે સત્તા અને વહીવટીતંત્રનો ઘણો મોટો વર્ગ આસપાસના કોલાહલને અવગણીને પણ પોતાનું કામ કરતાં જાય છે.

ચોક્કસ, ટીકાઓ અને ચાંપતી નજર જરૂરી છે, પણ એ સાથે જરૂરી એ પણ છે કે ખરેખર જે થઈ રહ્યું છે એની જાણ- મેળવીએ, માત્ર સાંભળેલી વાતો પર મંતવ્યો આપી પોતાનો આક્રોશ ઠાલવવો ન જોઈએ.

જૂનાગઢના તળાવની પાળે જતાં સ્થાનિકો માટે એ આશ્ચર્યની વાત હતી કે પાંચેક દિવસ પહેલાં  વેલનું સામ્રાજ્ય તળાવને ઘેરીને વિસ્તરેલું હતું, ત્યાં સ્વચ્છ મેદાન અને ત્યાં વેલ તો હતી જ નહીં.

મહાનગરપાલિકાના અધિકારી અતુલભાઈ મકવાણા સાંજે ૧૫ જેટલા મજૂરો સાથે એ વિસ્તારમાંથી વેલ કઢાવવાનું કામ કરતાં હતાં. એ જોઈ જૂનાગઢવાસીઓને સ્વાભાવિક રીતે આનંદ થયો.

અતુલભાઈએ જણાવ્યું કે છેલ્લાં ૫ દિવસમાં રોજનાં પાંચ ટ્રેકટર જેટલી વેલો કાઢવામાં આવી હતી. સાથે ૭૫ જેટલા સર્પ પણ રેસ્ક્યું કરાયાં છે.

હવે જૂનાગઢના રમણીય તળાવની મુલાકાત લેશો તો અલગ જ અનુભવ થઈ શકે છે. તેમના સુંદર કાર્યને લઇને ઘણાંને લાગણી થઈ શકે છે જો ખરાબ કામની ટીકા કરવામાં આવતી હો તો સારા કામ માટે પણ જશ દેવો ઘટે.