છઠ્ઠા પગારપંચવાળા સરકારી કર્મચારીઓ માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય…

ગાંધીનગરઃ રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓ માટે એક મોટો નિર્ણય કર્યો છે. ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલે જણાવ્યુ છે કે, છઠ્ઠું પગાર પંચ મેળવતાં રાજ્ય સરકારના ૧૯,૩૫૯ અધિકારીઓ/કર્મચારીઓ અને પેન્શનરોને તા.૦૧.૦૭.૨૦૧૮ થી ૬% તથા તા.૦૧.૦૧.૨૦૧૯ થી વધુ ૬% મળી કુલ ૧૨% મોંઘવારી ભથ્થું આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. આ મોંઘવારી ભથ્થુ ઓગસ્ટ-૨૦૧૯ના પગાર સાથે ચૂકવવામાં આવશે, જેનાથી રાજ્ય સરકાર ઉપર વાર્ષિક રૂ.૪૧.૯૩ કરોડનું વધારાનું ભારણ પડશે.

નાયબ મુખ્યપ્રધાને જણાવ્યું કે વિજય રૂપાણીએ સરકારી કર્મચારીઓ માટે અનેકવિધ નિર્ણયો કર્યા છે, જેના ભાગરૂપે આજે ચર્ચા-વિચારણા કરાયા બાદ આ નિર્ણય કરાયો છે. રાજ્ય સરકારના ૭૭૪૨ કર્મચારીઓ અને ૧૧૬૧૭ પેન્શનરો મળી, અંદાજીત કુલ ૧૯,૩૫૯ અધિકારીઓ/કર્મચારીઓ અને પેન્શનરોને રાજ્ય સરકારે છઠ્ઠા પગાર પંચના લાભો મંજૂર કર્યું છે, જે મુજબ હાલમાં પગાર તથા પેન્શન ચૂકવવામાં આવે છે.

તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર દ્વારા હાલમાં છઠ્ઠા પગાર પંચનો લાભ અંદાજીત ૧૯ હજાર જેટલા કર્મચારીઓ-અધિકારીઓ આપવામાં આવી રહ્યો છે. ભારત સરકાર દ્વારા તા.૦૧.૦૭.૨૦૧૮ થી ૬% તથા તા.૦૧.૦૧.૨૦૧૯ થી વધુ ૬ % મોંઘવારી ભથ્થુ મંજૂર કર્યું છે. છઠ્ઠા પગાર પંચ મેળવતાં રાજ્ય સરકારના અધિકારીઓ તથા કર્મચારીઓને તેમના પગાર ઉપરાંત અત્યારે ૧૪૨ % મોંઘવારી ભથ્થુ ચુકવવામાં આવી રહ્યું છે. ભારત સરકારે પણ તા.૦૧.૦૭.૨૦૧૮ થી વધુ ૬ % તથા તા.૦૧.૦૧.૨૦૧૯ થી વધુ ૬% મોંઘવારી ભથ્થુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે જાહેર કર્યું છે જે સંદર્ભે છઠ્ઠા પગાર પંચ પ્રમાણે પગાર/પેન્શન મેળવતાં રાજ્ય સરકારના અધિકારીઓ તથા કર્મચારીઓને પણ કેન્દ્રના ધોરણે તા.૦૧.૦૭.૨૦૧૮ થી ૬ % તથા તા.૦૧.૦૧.૨૦૧૯ થી ૬% મળી કુલ ૧૨ % મોંઘવારી ભથ્થુ ચુકવવાનો નિર્ણય કર્યો છે.

ઓગસ્ટ-૨૦૧૯ ના પગારની ચુકવણી સાથે કુલ ૧૨ % મોંઘવારી ભથ્થાનો વધારો તા.૦૧.૦૭.૨૦૧૮ થી ૬% પ્રમાણે તથા તા.૦૧.૦૧.૨૦૧૯ થી વધુ ૧૨ % ગણીને, ઓગસ્ટ-૨૦૧૯ ના પગાર સાથે તેનું રોકડમાં ચુકવણું કરવામાં આવશે. આ નિર્ણયના કારણે રાજ્ય સરકાર ઉપર વાર્ષિક અંદાજે રૂ.૪૧.૯૩ કરોડ જેટલુ ભારણ વધશે.