16 અછતગ્રસ્ત તાલુકાઓમાં ખેડૂતો માટે કરાશે આ પ્રકારની વ્યવસ્થા….

ગાંધીનગરઃ મુખ્યપ્રધાન રૂપાણીએ રાજ્યમાં કચ્છ જિલ્લાના 10 તાલુકા સહિત બનાસકાંઠાના 4 પાટણનો 1 અને અમદાવાદના 1 એમ 16 તાલુકાઓમાં ઓછા વરસાદની સ્થિતિ ધ્યાને લઈને 1 ઓક્ટોબરથી અછતગ્રસ્ત જાહેર કર્યા છે. આ તાલુકાઓમાં પશુઓ માટે ઘાસ ચારો. ખેડૂતોને પાણી તેમજ રોજગારીની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે.

મહેસુલ પ્રધાન કૌશિક ભાઈ પટેલે આ અંગેની વિગતો આપતા કહ્યુંકે મુખ્યપ્રધાન પશુધન ખેડૂતો સહિત ઓછા વરસાદની પરિસ્થિતિથી સતત ચિંતિત છે. તેમની સમક્ષ  ખેડૂતો અને લોક આગેવાનો તેમજ જનપ્રતિનિધિઓ તરફથી રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ ઓછા વરસાદથી સર્જાયેલી પરિસ્થિતિ ની રજૂઆતો આવતી રહે છે.

આ સંદર્ભમાં મુખ્યપ્રધાને મુખ્યસચિવ ડો.જે એન સિંહ અને મહેસુલ વિભાગને આ વિસ્તારોમાં થયેલા વરસાદ અને અન્ય વિગતો મેળવી તાત્કાલિક અહેવાલ રજૂ કરવા સૂચનાઓ આપી છે. મહેસુલપ્રધાને જણાવ્યું કે આ અહેવાલ મળ્યા બાદ મુખ્યપ્રધાન પરિસ્થિતિનો તાગ મેળવી જરૂરીયાત મુજબ મદદ અંગેની કાર્યવાહી અને નિર્ણયો કરશે.

મહેસુલ પ્રધાને જણાવ્યું કે રાજ્યમાં પશુધન, ખેડૂતો, પાણીની વ્યવસ્થા એમ બધીજ બાબતો અંગે મુખ્યપ્રધાન અને રાજ્ય સરકાર સંવેદનશીલ અભિગમથી યોગ્ય ઉકેલ માટે પ્રતિબદ્ધ છે. તેમણે આ સમગ્ર સંવેદનશીલ વિષયો પર કોઈ રાજકારણ ન કરવા  પણ અપીલ કરી છે..