જળસંગ્રહ વધારવા સરકારે કર્યાં આ આયોજન

ગાંધીનગરઃ ભૂગર્ભ જળના વધુ પડતા શોષણ અને સપાટી જળની સંગ્રહશક્તિ વધારવા તેમજ કાર્યદક્ષ પદ્ધતિથી વિતરણ કરવા રાજ્ય સરકારનું સઘન આયોજન હોવાનું જળસંપત્તિ પ્રધાન પરબત પટેલે વિધાનસભામાં જણાવ્યું હતું.મુખ્ય આયોજનો

  • આદિજાતિ વિસ્તારો પૈકી જે વિસ્તારોને સીધો સિંચાઇનો લાભ નથી મળતો તેવા વિસ્તારમાં ૮૫૪ ઉદ્દવહન સિંચાઇ યોજનાઓથી આશરે ૯૬,૦૦૦ હેક્ટર વિસ્તારને લાભ.
  • જળસંગ્રહ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી – ૧,૬૮,૯૨૯ ચેકડેમ અને ૩૪૫૬ અનુશ્રવણ તેમજ તળાવો ઉંડા કરવાની કામગીરી પૂર્ણ.
  • હયાત કેનાલ નેટવર્કને કટીંગ કેનાલમાં ફેરવી પાણીની બચત કરવાનો નવો અભિગમ.
  • દરીયાકાંઠાના વિસ્તારોમાં ક્ષાર પ્રવેશ નિયંત્રણ અને દરિયાઇ ધોવાણ અટકાવવાની કામગીરી માટે રૂ.૪૦ કરોડની જોગવાઇ
  • રાજ્યના ખેતીલાયક વિસ્તારના પ૧ % વિસ્તારને પ્રત્યક્ષ અને પરોક્ષ સિંચાઇનો લાભ.

જળસંપત્તિ વિભાગ પાસેની ૧૯ મોટી, ૯૦ મધ્યમ અને ૯૭૫ નાની સિંચાઇ યોજનાઓમાં જળસંગ્રહ કરવા ઉપરાંત રાજ્ય સરકારે ૧,૬૮,૯૨૯ ચેકડેમો, ૩૪૫૩૬ અનુશ્રવણ તળાવો તથા તળાવો ઉંડા ઉતારવાની મહત્વની કામગીરી હાથ ધરી સંગ્રહશક્તિમાં નોંધપાત્ર વધારો થયો છે અને તેના કારણે વંચિત વિસ્તારોમાં ખેતી અને પશુપાલન તથા પીવા માટે પાણી ઉપલબ્ધ કરાવી શકાયેલ છે.  છેલ્લા વર્ષોમાં રાજ્ય સરકારે ૮૭ નવી મધ્યમ અને નાની સિંચાઇ યોજનાઓ હાથ ધરેલ છે.  જેમાંથી ૬૯ બંધોની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

આદિજાતિ વિસ્તાર માટે રૂ.૮૫૭ કરોડની માતબર જોગવાઇ કરવામાં આવી છે. જેમાં મહીસાગર અને દાહોદ જિલ્લા માટે કડાણા જળાશય આધારીત ઉદ્દવહન સિંચાઇ યોજનાઓ માટે રૂ.૧૨૦ કરોડ, વાલીયા, ઝઘડીયા અને માંગરોળ વિસ્તારના સિંચાઇથી વંચિત આદિજાતિ વિસ્તારને લાભ આપવા માટે કરજણ જળાશય આધારીત ઉદ્દવહન સિંચાઇ યોજના માટે રૂ.૧૧૮ કરોડ, કાંકરાપાર ગોરધા સુધીની ઉદ્દવહન સિંચાઇ યોજના માટે રૂ.૧રપ કરોડની જોગવાઇ કરવામાં આવેલ છે.  આ ઉપરાંત આદિજાતિ વિસ્તારની યોજનાઓમાં નહેર સુધારણાના કામો માટે ૧૧ર કરોડની જોગવાઇ કરેલ છે. આ ઉપરાંત સિંચાઇથી વંચિત સોનગઢ, ઉચ્છલ અને નિઝર તાલુકાના આદિજાતિ વિસ્તારના લોકો માટે ઉકાઇ જળાશય આધારીત નવિન ઉદ્દવહન સિંચાઇ યોજનાઓ માટે રૂ.૨૦ કરોડની જોગવાઇ કરવામાં આવેલ છે. જેનાથી આદિજાતિ વિસ્તારના ૧૮૨ ગામોને ૩૦૭૮૪ હેક્ટર વિસ્તારને સિંચાઇનો ફાયદો થશે.

જળસંચયના નાના મોટા ચેકડેમ, તળાવો ઉંડા કરવા, ચેકડેમ રિપેરીંગ અને જળાશયોમાંથી કાંપ દૂર કરવા માટે રાજ્ય સરકારે રૂ.૩૫૭ કરોડની જોગવાઇ કરેલ છે. પાણીનું સીપેજ મુશ્કેલી નિરાકરણ માટે રાજ્ય સરકારે રૂ.૪૭૫ કરોડની જોગવાઇ કરેલ છે. જેમાં નહેર સુધારણાની કામગીરી તેમજ હયાત કેનાલ નેટવર્કને કટીંગ કેનાલમાં ફેરવવાની કામગીરી થવાથી છેવાડાના ખેડૂતોને પાણી મળશે.

ક્ષાર પ્રવેશ નિયંત્રણના કામો માટે રૂ.૨૮ કરોડ અને દરીયા ધોવાણના કામો માટે રૂ.૧ર કરોડની જોગવાઇ કરવામાં આવેલ છે તેમજ રાજ્યની સિંચાઇ યોજનાઓની બંધ સુરક્ષાના કામો માટે રૂ.૭૦ કરોડની જોગવાઇ કરવામાં આવેલ છે તેમજ સૌરાષ્ટ્ર વિસ્તારની પ્રગતિ હેઠળની અને આયોજન હેઠળની સિંચાઇ યોજનાઓ માટે રૂ.૮૭ કરોડની જોગવાઇ કરવામાં આવેલ છે.

સૌરાષ્ટ્ર વિસ્તાર માટે અગત્યની સૌની યોજનાની કામગીરીનો પ્રથમ તબક્કો પૂર્ણ થયેલ છે.  જેના લીધે આજી-૧ ડેમ મારફતે રાજકોટ શહેરનો પીવાના પાણીનો પ્રશ્ન મહદ્દ અંશે હલ થયેલ છે.  સૌની યોજનાના બીજા તબક્કાના ૧૧ કામો પ્રગતિ હેઠળ છે.  જેના માટે રૂ.૧૭૬૫ કરોડની જોગવાઇ કરવામાં આવેલ છે. 

ઉત્તર ગુજરાત માટે અગત્યની સુજલામ સુફલામ યોજના અંતર્ગત કેનાલની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે.  કડાણા ડેમથી બનાસકાંઠાના રાહગામ સુધી નહેર બનાવેલ છે.  જેનાથી ૭૦,૦૦૦ હેક્ટર જમીનમાં સિંચાઇનો લાભ મળે છે.  આ ઉપરાંત ૧૧ પાઇપલાઇનની કામગીરી પૂર્ણ કરી ૪પ૩ જેટલા તળાવોનું જોડાણ કરેલ છે. સુજલામ સુફલામ યોજનાથી કુલ ૭૦૯ તળાવોનું જોડાણ કરેલ છે. ૬૭૯ ગામ અને ૮ શહેરને પીવાનું પાણી પૂરુ પાડવામાં આવે છે. સુજલામ સુફલામ યોજના માટે આ વર્ષે રૂ.૨૪૦ કરોડની જોગવાઇ કરવામાં આવેલ છે.

રાજ્યના કુલ ખેતીલાયક વિસ્તારમાં સિંચાઇનો લાભ જે અગાઉ માત્ર ૩૧ % વિસ્તારને જ મળતો હતો તે વધારીને પ૧ %  સુધી પહોંચાડવામાં આવ્યો છે.