15 ફેબ્રુઆરીએ મધ્યરાત્રિએ ખંડગ્રાસ સૂર્યગ્રહણ: ભારતમાં દેખાશે નહિ

અમદાવાદ– આગામી તારીખ ૧૫મી ફેબ્રુઆરી, ૨૦૧૮એ મધ્યરાત્રિએ ખંડગ્રાસ સૂર્યગ્રહણ સર્જાશે, જે તારીખ ૧૬મી ફેબ્રુઆરીના ૦૦:૨૬ કલાકે શરુ થશે. મહત્તમ સૂર્યગ્રહણ બિંદુ ૨:૨૧ કલાકે સર્જાશે, ૪:૧૬ કલાકે સૂર્યગ્રહણ પૂર્ણ થશે. આ ખંડગ્રાસ સૂર્યગ્રહણ કુંભ રાશિની શરૂઆતમાં, ધનિષ્ઠા નક્ષત્રના ત્રીજાપદમાં થશે. કુંભ રાશિમાં અને મંગળના નક્ષત્રમાં ગ્રહણ સર્જાતા, કુંભ, મેષ અને વૃશ્ચિક રાશિના જાતકો માટે આ સૂર્યગ્રહણ શુભ ફળદાયી નથી રહેતું, બાકીની રાશિના જાતકો માટે આ સૂર્યગ્રહણ મધ્યમ શુભ ગણી શકાય. કુંભ, મેષ અને વૃશ્ચિક રાશિના જાતકોને આ ગ્રહણ આગામી એક માસ સુધી કાર્યમાં રુકાવટ અને ચિંતાનો સામનો કરાવી શકે.સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહિ, દક્ષિણ અમેરિકા અને તેની દક્ષિણે રહેલા ભાગ પર તે જોઈ શકાશે. આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાવાનું નથી, માટે સૂતક પાળવાનું નથી.

વર્ષ દરમ્યાન આગામી ખગોળીય ઘટનાઓમાં ૧૩.૦૭.૨૦૧૮એ અને ૧૧.૦૮.૨૦૧૮એ ખંડગ્રાસ સૂર્યગ્રહણ છે, બંને સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહિ. તારીખ ૨૭.૦૭.૨૦૧૮એ ખગ્રાસ ચંદ્રગ્રહણ છે, જે ભારતમાં દેખાશે.

અહેવાલ- નિરવ રંજન