મુખ્યપ્રધાને રાજ્યમાં થયેલા સાર્વત્રિક વરસાદની સ્થિતીની સમીક્ષા કરી

ગાંધીનગરઃ ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રુપાણીએ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સ્થિતીની સમીક્ષા ઉચ્ચ સ્તરીય બેઠક સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાં યોજીને કરી હતી. તેમણે રાજ્યના જિલ્લાઓના તંત્ર વાહકો પાસેથી તેમના જિલ્લાની વરસાદની સ્થિતી મામલે ટેલિફોનિક વાત કરીને પરિસ્થીતી વિશે અંદાજો મેળવ્યો હતો. મુખ્ય પ્રધાન રુપાણીએ આ બેઠકની વિગતો મીડિયા સાથેની વાતચીતમાં જણાવી હતી.

મુખ્યપ્રધાને જણાવ્યું કે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદથી ઉકાઈ અને સરદાર સરોવર નર્મદા ડેમ ભરાઈ ગયા છે. રાજ્યમાં 17 ડેમ 100ટકા ભરાઈ ગયા છે તેમજ 42 ડેમ 70 ટકા થી વધુ ભરાઈ ગયા છે. તેમણે ઉમેર્યું કે ગયા વર્ષે ચોમાસું પૂરું થયું ત્યારે રાજ્યના જળાશયોમાં 56 ટકા પાણી હતું, જયારે આ વર્ષે સારા વરસાદથી અત્યાર સુધીમાં જ કુલ 60 ટકા જળ સંગ્રહ થઇ ગયો છે. મુખ્યપ્રધાને કહ્યું કે આ વરસાદને પરિણામેં રાજ્યમાં 6000 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. રાજ્યમાં આ વરસાદથી કુલ 11 માનવ મૃત્યુ થયા છે.

મુખ્યપ્રધાને વરસાદની વિગતો આપતા કહ્યું કે સમગ્ર રાજ્યમાં 250 મી.મી થી ઓછો વરસાદ થયો હોય તેવા માત્ર 15 જ તાલુકા રહ્યા છે બાકી બધા જ તાલુકાઓ માં 250 મી મી જેટલો વરસાદ થયો છે. રાજ્યમાં ગત વર્ષે 10 ઓગષ્ટ સુધીમાં 459.91 મી.મી વરસાદ થયો હતો તેની સામે આ વર્ષે 634.82 મી.મી વરસાદ વરસ્યો છે. તેમણે કહ્યું કે રાજ્યમાં 18 NDRF તેમજ 11 SDRF ની ટુકડીઓ ઉપરાંત આર્મી અને એરફોર્સ પણ વરસાદી સ્થિતિમાં બચાવ રાહત માટે તૈનાત છે. સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા પાસે વાવણી ગામમાં પાણીમાં ટ્રેક્ટરમાં ફસાયેલા લોકોને તેમજ જામનગરના બાલંભાના એક બહેનને હેલિકોપ્ટરથી એરલીફ્ટ કરી રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. તેમણે ઉમેર્યું કે હવામાન વિભાગે સૌરાષ્ટ્ર કચ્છમાં આગામી 24 કલાકમાં વરસાદની  કરેલી આગાહીને પગલે આ વિસ્તાર સહિત સમગ્ર રાજયના જિલ્લા કલેક્ટરો અને તંત્ર ને સાબદા કર્યા છે. મુખ્યપ્રધાન વિજય ભાઈ રૂપાણીએ સૌરાષ્ટ્રના વરસાદ પ્રભાવી જિલ્લા ખાસ કરીને રાજકોટ જામનગર સહિતની સ્થિતીની ખાસ ચિંતા કરીને જિલ્લા કલેક્ટરો સાથે ઇમરજન્સી ઓપરેશન સેન્ટરથી વાતચીત કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે રાજકોટ શહેર અને જિલ્લામાં થયેલા અતિ વરસાદની માહિતી કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર સાથે વિગતે વાત કરી મેળવી હતી.રાજકોટ  શહેરમાં નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયાં છે, તેવા સ્થળો એ બચાવ અને મદદ માટે વડોદરાથી આર્મીની બે ટુકડી બોટ અને અન્ય સાધનો સાથે રાજકોટ રવાના કરવામાં આવી છે.