11 દિવસની કૌશલ્યયાત્રા ફરશે, આજીવિકાનું માર્ગદર્શન આપશે

ગાંધીનગર– બેરોજગારી સામે લડવું કોઇપણ સરકાર માટે મોટો પડકાર હોય છે. આ પડકાર ઉઠાવતાં ગુજરાત સરકારે કેન્દ્ર સરકારના સ્કીલ ઇન્ડિયાના સહયોગમાં સ્કીલ મહોત્સવનું આયોજન કર્યું છે. આ અંતર્ગત યોજાઇ રહેલી 11 દિવસની સ્કીલ યાત્રા યુવાઓને રોજગારીનું માર્ગદર્શન પુરું પાડશે.ગાંધીનગરમાં બેરોજગારોને રૂચિ મુજબની રોજગારી મળી રહે તે માટે માર્ગદર્શન પુરું પાડતી ‘ગુજરાત કૌશલ્ય યાત્રા’ ને પ્રસ્થાન કરાવતાં શ્રમપ્રધાન દિલીપ ઠાકોરે ઉમેર્યું કે, રાષ્ટ્રના યુવા બેરોજગારોને રોજગારીની તકો પૂરી પાડતી સ્કીલ યાત્રા આગામી ૧૫ જુલાઇથી શરૂ થશે અને વિવિધ જિલ્લાઓમાં ૧૧ દિવસ સુધી પરિભ્રમણ કરીને રોજગારી અંગે જાગૃતિ લાવવા પ્રયાસ કરશે.

આ યાત્રામાં ૩ વાન રહેશે. જેમાં ‘કુશળતા થકી જીવન નિર્વાહ’ ની જાગૃતિ લાવવાના પ્રયાસો કરાશે. ઉપરાંત વિવિધ લાભાર્થી દ્વારા પ્રવર્તમાન કુશળતાના ઇકો સીસ્ટમ પરની પ્રતિક્રિયા અંગે પરામર્શ, ઉમેદવારોને ટીપી/ટીસી અને ઉદ્યોગ સાહસિક, કૌશલ્યવર્ધન માટે નોંધણી અને કૌશલ્ય ધરાવતા યુવાનોને સર્ટીફિકેટ માટે એકત્ર કરવા સહિત કુશળતા માટે નોંધણી સ્પર્ધા પણ યોજાશે. સાથે સાથે વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો અને વિવિધ સ્થળોની વિવિધ શેરીઓમાં ‘કુશળતા ભારત’ અને આર.પી.એલ. ડેટા કલેકશન, સેમ્પલિંગ તેમ જ જાગરૂકતા અંગે સર્વેક્ષણની સાથે યુવાઓની કુશળતાને મૂલ્યાંકન માટે પણ ફોર્મ ભરાશે.