લાલચમાં ગુમાવ્યા 99 લાખ, તાંત્રિકે સોનાની ઈંટોના બહાને લૂંટી લીધા…

દ્વારકાઃ કહેવાય છે કે લાલચ એ ખોટી બલા છે. લાલચ એક એવી વસ્તુ છે કે જેમાં માણસ ફસાઈ જાય તો કંઈક વધારે પામવાની ઘેલછામાં પોતાનું જે છે તે પણ ખોઈ બેસતો હોય છે. આવી જ એક ઘટના સૌરાષ્ટ્રના કલ્યાણપુર તાલુકાના હનુમાનગઢ ગામે બની છે. જમાનો આટલો આગળ વધી ગયો છે અને માણસ પોતે જ્યારે ડિજિટલ બની ગયો છે તેવા સમયમાં કેટલાક લોકો અંધશ્રદ્ધામાં ફસાઈ જતા હોય છે.ઘટનાની જો વાત કરીએ તો ભોગાત ગામે રહેતા બે વ્યક્તિઓ પાસેથી તાંત્રિકે સોનાની ઈંટો બનાવી આપવાની લાલચ આપીને રુપિયા 99 લાખ પડાવી લીધા. ત્યારે આખરે છેતરાઈ ગયા હોવાનો ખ્યાલ આવતા તેઓએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

બનાવની વિગત એવી છે કે ભોગાત ગામે રહેતા કાના ભાઈ લખુભાઈ ભાટીયા માથાના દુઃખાવો રહેતો હોવાથી અવારનવાર હનુમાનગઢ ગામે રહેતા તાંત્રિત હરીશ લાબડીયા અને આકાશ લાબડીયા પાસે જતા હતા. આ પિતા પુત્રએ કાનાભાઈને વિશ્વાસમાં લઈ અને ખોટી લાલચ આપવાનું શરૂ કર્યુ હતું.

તાંત્રિક પિતા પુત્રની જોડીએ વિધિ કરી અને સોનાની ઈંટો બનાવી આપવાની લાલચ આપી કટકે કટેક રૂપિયા 80 લાખ પડાવી લીધા હતા. જુદા જુદા સમયે કુલ 99 લાખ પડાવી અને તેમને નકલી ઈંટો પકડાવી દીધી. આ ઘટના બાદ કાના ભાઈ ભાટીયાએ કલ્યાણપુર પોલીસમાં છેત્તરપિંડીની ફરિયાદ નોંધાવી હતી જેના પગલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સૌરાષ્ટ્રમાં અવારનવાર તાંત્રિક વિધિના બહાને પૈસા પડાવી લેવાની ઘટનાઓની ફરિયાદો જોવા મળે છે, જેમાં વધુ એક અચરજ પમાડે તેવી ઘટના નોંધાઈ છે. આ ઘટના સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે, જેમાં કોઈ તાંત્રિકે રૂપિયા 99 જેટલી માતબર રકમ પડાવી લીધી હોવાની ફરિયાદ થઈ છે.