રાજ્યકક્ષાની રાસગરબા સ્પર્ધાનો પ્રારંભ, 121 ટીમો વચ્ચે જામશે સ્પર્ધા

ગાંધીનગર- ગાંધીનગરમાં રાજ્યકક્ષાના ચાર દિવસીય નવરાત્રિ રાસ-ગરબા સ્પર્ધાનો આજથી પ્રારંભ થયો. ગાંધીનગરમાં રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગના ઉપક્રમે નવરાત્રિ રાસગરબા સ્પર્ધાનું ઊર્જાપ્રધાન સૌરભ પટેલના હસ્તે દીપ પ્રગટાવી ઉદઘાટન કરવામાં આવ્યું હતું.

ગાંધીનગર સિવિલ હોસ્પીટલના ઓડીટોરીયમ ખાતે આગામી 7 ઓક્ટોબર સુધી રોજ બપોરે 12થી7 વાગ્યા દરમિયાન રાજયકક્ષાની રાસગરબા સ્પર્ધા યોજાશે.

આ પ્રસંગે સૌરભ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના વિવિધ ઉત્સવો અને તહેવારોમાં નવરાત્રિ નવ દિવસનો સૌથી મોટો તહેવાર છે. રાસ-ગરબા ગુજરાતની સંસ્કૃતિનું પ્રતિક છે. વાયબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ થકી રાસ-ગરબા વિશ્વ ફલક ઉપર પ્રસ્થાપિત થયાં છે ત્યારે, રાજયના દરેક જિલ્લા અને મહાનગરોને રાસ-ગરબાની ૧૨૧ જેટલી શ્રેષ્ઠ કૃતિઓ ગાંધીનગરની પ્રજાને જોવાનો અવસર મળ્યો છે.

નવરાત્રિ મહોત્સવની સાથે ભાતીગળ વસ્ત્રો, શણગાર અને રિફ્રેશમેન્ટ દ્વારા અનેક લોકોને રોજગારી પણ મળે છે, જેથી ગુજરાતનો નવરાત્રિ મહોત્સવ ઇકોનોમીનો પણ ભાગ બન્યો છે. અન્ય રાજયોમાં વસતા ગુજરાતીઓ પણ સ્થાનિક પ્રજાને આકર્ષીને નવરાત્રિ મહોત્સવ ઉજવે છે, ત્યારે આ ઉત્સવનો દિનપ્રતિદિન વ્યાપ વધતો જાય છે.

રમત-ગમત વિભાગના સચિવ વી.પી. પટેલે જણાવ્યું હતું કે, અર્વાચીન અને પ્રાચીન ગરબા સહિત વિવિધ કલાકારોની પ્રતિભા ઉજાગર કરવા રાજય સરકારે ખેલ મહાકુંભની સાથે છેલ્લા બે વર્ષથી કલા મહાકુંભ ઉજવણીની શરૂઆત કરી છે. કલા મહાકુંભ માટે રાજય સરકારે રૂ.૧૦ કરોડની ફાળવણી કરી છે.

૧૨૧ જેટલી વિવિધ સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવનાર ટીમને અનુક્રમે રૂ.૫૧ હજાર, રૂ.૪૧ હજાર અને રૂ.૩૧ હજારના રોકડ પુરસ્કાર આપી સન્માન કરાશે. ચાલુ વર્ષે કલા મહાકુંભમાં ૪.૯૮ લાખ કલાકારોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.