ઉત્તર-મધ્ય ગુજરાતના 4 માર્ગોના નવીનીકરણમાં 656 કરોડ ખર્ચાશે, ટેન્ડર થઈ ગયાં

ગાંધીનગર- ઉત્તર અને મધ્ય ગુજરાતના મુખ્ય ચાર માર્ગોના રૂ.૬૫૬ કરોડના કામો રાજ્ય સરકારે મંજૂર કરીને તેની ટેન્ડર પ્રક્રિયા પણ પૂર્ણ કરી દીધી છે અને આ કામો ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે જે આગામી ૨ વર્ષમાં પૂર્ણ કરાશે.

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યુ છે કે, રાજ્યમાં માર્ગોના નેટવર્કની સુવિધાનો વ્યાપ વધારીને નાગરિકોને મળતી વાહનવ્યવહારની સુવિધાઓમાં વધારો કરવો અને રાજ્યમાં ટ્રાફિકનું ભારણ ઘટે, નાગરિકોની સલામતીમાં વધારો થાય તે આશયથી આ કામાને મંજૂરી આપવામાં આવી છે. વધુમાં કહ્યું કે, વિશ્વબેંક લોનની મદદથી આ પ્રોજેક્ટ ગુજરાત રાજ્ય માર્ગ યોજના -૨ હેઠળ રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યાં છે. જેની અંદાજીત કિંમત રૂ.૧૯૩૮ કરોડ કિંમત પૈકી રૂ.૧૦૫૦ કરોડની વિશ્વ બેંકની લોન મળશે, આ કામોમાં રૂ.૨૨૨ કરોડનો રાજ્ય સરકારનો હિસ્સો રહેશે.

નાગરિકોને વાહનવ્યવહારની સુવિધા

ઉત્તર ગુજરાતના મહેસાણાથી સિદ્ધપુર સુધીના રસ્તાને ૬ માર્ગીય કરવાનું કામ રૂા.૨૩૦ કરોડના ખર્ચે હાથ ધરવામાં આવશે. જેમાં શરૂઆત મહેસાણા બાયપાસ (ફતેપુરા)થી શરૂ થઇ ઉંઝા-સિદ્ધપુર સુધીના ૨૫ કિ.મી.ની લંબાઇનો સમાવેશ કરાયો છે. આ કામગીરીમાં હયાત ૪ માર્ગીય રસ્તાને ૬ માર્ગીય જેમાં ડાબી બાજુ બહુહેતુક પદયાત્રીઓ માટે એક વધારાની લેન તથા બન્ને તરફ સોલ્ડરનો સમાવેશ કરાશે. આ ઉપરાંત હયાત ચારમાર્ગીય પૂલોનું ૮ માર્ગીય કરવામાં આવશે. સાથે-સાથે ઉંઝા શહેરમાં ૧ર૦૦ મીટર જેટલી લંબાઇનો ૬ માર્ગીય ફલાયઓવર બનાવાશે. સિદ્ધપુર ગામની ૪ કિ.મી. જેટલી લંબાઇમાં ૬ માર્ગીય રસ્તા ઉપરાંત બન્ને તરફ ૭ મીટર પહોળાઇમાં સર્વીસ રોડ બનાવવામાં આવનાર છે. ઉક્ત કામગીરીથી  મહેસાણા–સિદ્ધપુર રસ્તા ઉપરના ટ્રાફિકની સલામતીમાં વધારો થશે, ઇંધણ અને સમયની બચત થશે અને આ વિસ્તારનો વિકાસ થશે.

આ ઉપરાંત સિદ્ધપુર થી પાલનપુર રસ્તાને પણ ૬ માર્ગીયકરણ ૨૧૫ કરોડના ખર્ચે કરવામાં આવશે જેમાં સિદ્ધપુર થી પાલનપુર સુધીની ૩૬ કિ.મી.ની લંબાઇનો સમાવેશ કરાયો છે. આ કામગીરીમાં હાલાના ૪ માર્ગીય રસ્તાને ૬ માર્ગીય જેમાં ડાબી બાજુ બહુહેતુક પદયાત્રીઓ માટે એક વધારાની લેન તથા બંન્ને તરફ સોલ્ડરનો સમાવેશ કરાયો છે. આ ઉપરાંત વર્તમાનના ચારમાર્ગીય પૂલોને ૮ માર્ગીય કરવામાં આવશે જેના પરિણામે સિદ્ધપુર-પાલનપુર રસ્તા ઉપરના ટ્રાફિકની સલામતીમાં વધારો થશે, ઇંધણ અને સમયની બચત થશે અને આ વિસ્તારનો વિકાસ થશે.

આ ઉપરાંત રૂા. ૧૨૪ કરોડના ખર્ચે રાધનપુરથી ચાણસ્મા રસ્તાનું નવીનીકરણ પણ કરાશે. જેમાં રાધનપુરથી ચાણસ્મા સુધીની ૬૦ કિ.મી.ની લંબાઇનો સમાવેશ કરાયો છે. આ કામગીરીમાં હાલના બે માર્ગીય રસ્તાના નવીનીકરણની કામગીરી પણ કરાશે.

મધ્ય ગુજરાતના ધોરીડુંગરી થી લુણાવાડા રસ્તાનું નવીનીકરણ કરવાનું કામ રૂા.૮૬ કરોડના ખર્ચે હાથ ધરાશે. જેમાં ધોરીડુંગરીથી ગરસિયાવાડા અને ગરસિયાવાડાથી લુણાવાડા સુધીની ૨૬ કિ.મી.ની લંબાઇનો સમાવેશ કરાયો છે. આ કામગીરીમાં સુધારો/ મજબૂતીકરણ / નવીનીકરણની કામગીરી તથા હાડોડ પાસેના ડૂબાઉ પુલની જગ્યાએ મોટા બ્રીજનું બાંધકામ પણ કરાશે. જેના પરિણામે રાજ્યના મહીસાગર અરવલ્લી જિલ્લાઓના વાહનવ્યવહારની સગવડમાં વધારો થશે. ઉપરાંત હાડોડ પાસેના ડૂબાઉ પુલ કે જે ચોમાસામાં ભારે વરસાદને કારણે ઘણીવાર બંધ થઈ જતો હતો તે જગ્યાએ  મેજર બ્રીજ થવાથી મહીસાગર જિલ્લાને ગાંધીનગર સાથે કનેકટીવીટી મળશે.