ગાંધીનગરમાં સ્મૃતિ ઈરાનીઃ સ્માર્ટ ફોન માત્ર ડિવાઈસ નથી, તે ભવિષ્ય સુધારવાનું મદદરૂપ પગલું છે

ગાંધીનગર- કેન્દ્ર સરકારની ક્રાંતિકારી યોજનાઓના માધ્યમથી મહિલાઓના સ્વાસ્થ્ય અને બાળકોના પાલન પોષણ ક્ષેત્રે ઉત્સાહજનક પરિણામો મળી રહ્યાં છે. આજે ગાંધીનગરમાં રાજય સરકાર દ્વારા આયોજીત પોષણ અભિયાન અંતર્ગત આંગણવાડી કાર્યકરોને સ્માર્ટ ફોન આપવાના કાર્યક્રમમાં કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસપ્રધાન સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું હતું.

ઉપસ્થિત આંગણવાડીની બહેનોને સંબોધતા તેમણે કહ્યું કે ભારતના ઈતિહાસમાં લગભગ એવુ પ્રથમવાર બન્યું હશે કે એક પુરુષ વડાપ્રધાને મહિલાઓના સ્વાસ્થ્ય અને બાળકોના પોષણની આટલા મોટાપાયે ચિંતા કરી હોય. રાજ્ય સરકારની  ICDS-CAS ટેકનોલોજીથી સજ્જ સ્માર્ટ ફોન આંગણવાડીની બહેનોને આપવાની પહેલને બિરદાવતાં એમણે કહ્યું કે સ્માર્ટ ફોન એ માત્ર ડિવાઈસ નથી પરંતુ તે એક બાળક્નું ભવિષ્ય અને એક બહેનનું ભવિષ્ય સુધારવા તરફનું મદદરૂપ પગલું છે.

કાર્યક્રમ દરમિયાન રાજ્ય સરકારના મહિલા અને બાળ કલ્યાણ રાજ્યકક્ષાના પ્રધાન વિભાવરીબેન દવેની ઉપસ્થિતિમાં સ્મૃતિ ઈરાનીએ “વ્હાલી દિકરી” યોજનાના લાભાર્થીઓને પ્રમાણપત્રનું વિતરણ પણ કર્યુ હતું. એમણે જણાવ્યું કે આંગણવાડીની કાર્યકર બહેનો દરરોજ સમાજ પ્રત્યે સમર્પિત ભાવનાથી સેવા કરે છે. તેમના આ કામને બિરદાવવા ભારત સરકારે પહેલીવાર દુરદર્શનના માધ્યમથી નાની જાહેરાત દ્વારા દેશની જનતાને અપીલ કરી છે કે તમને તમારા ગામ કે શહેરમાં કોઈ આંગણવાડી દીદી કે બહેન દેખાય તો થોડો સમય કાઢી તેમને ધન્યવાદ કહો.ઈરાનીએ જણાવ્યું કે ભારત સરકાર દ્વારા આંગણવાડી બહેનોને તેમના ઉત્કૃષ્ટ કાર્યોના લીધે રૂપિયા 22 કરોડના ઈનામો આપવામાં આવ્યા છે.

હું તમામ ગુજરાતીઓને અપીલ કરુ છુ કે, કયારેક તેમના આંગણવાડીની બેન મળે તો તેનું સન્માન કરી આભાર વ્યક્ત કરજો. હું પણ આ આંગણવાડીની તમામ બહેનોને તેમની સમાજ પ્રત્યેની તેમની સમર્પિત સેવા ભાવ માટે આભાર વ્યક્ત કરું છું. ચાર દિવાલોમાં બંઘ મહિલાઓને દરેક ક્ષેત્રોમાં આગળ આવે, દરેક ઉત્સવોમાં ભાગલે, ઉજવણી કરે છે. આ ઇતિહાસ રચવા હું વડાપ્રઘાનને અભિનંદન પાઠવું છું. તેમણે જણાવ્યું હતું કે, મહિલાઓ પોતાના પરિવારને પહેલાં સાચવે છે અને પોતે છેલ્લે રહે છે. ગામ આખાના બાળકોની કાળજી લે એ જીવનદાયિની જશોદામાતાની કામગીરીમાં સહાયક બને દરેક બાળકનું નામ – વજન – ઉંચાઇ- જન્મ તારીખ તેમજ રસીકરણ- વગેરેની નોંઘ રાખશે અને ઉપરી અઘિકારીને મોકલશે

વિભાવરીબેન દવેએ જણાવ્યું કે સ્માર્ટ ફોન દ્વારા આંગણવાડી કાર્યકરો પણ સ્માર્ટ બનશે. “વ્હાલી દિકરી” યોજના અંગે જણાવતા કહ્યું કે આ યોજના અંતર્ગત દિકરી જયારે પહેલા ધોરણમાં પ્રવેશ મેળવે ત્યારે 4000 રૂપિયા, દિકરી જયારે નવમા ધોરણમાં પ્રવેશ મેળવે ત્યારે 6000 રૂપિયા અને દિકરી જયારે 18 વર્ષની થાય ત્યારે તેના ઉચ્ચ અભ્યાસ અર્થે તથા લગ્ન માટે રૂપિયા 1,00,000/- ની આર્થિક સહાય ગુજરાત સરકાર દ્વારા લાભાર્થીને મળશે.

આ કાર્યક્રમમાં ધારાસભ્યો વરિષ્ઠ અધિકારીઓ અને મહિલા અગ્રણીઓ ઉપરાંત બાળ આયોગના અધ્યક્ષા જાગૃતિબેન પંડ્યા તેમજ મહિલા અયોગના અધ્યક્ષા લીલાબેન આંકોલિયા ઉપસ્થિત રહ્યાં હતા.